લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એ દેશની રાજનીતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી થોડા મહિનામાં દેશનું રાજકીય ચિત્ર બદલાવાનું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનશે, જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ જશે.
બેઠકમાં રાહુલ ગાંધી એ શું કહ્યું?
દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે અલ્પસંખ્યક વિભાગની ‘નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અલ્પસંખ્યક સમાજના આશરે ૫૦ જેટલા કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાહુલ ગાંધીએ નીચેની મહત્વની વાતો કહી:
-
રાજનીતિનું કેન્દ્ર બદલાશે: આગામી સમયમાં રાજકારણ હિન્દુ-મુસ્લિમ મુદ્દા પર નહીં, પણ અમીર અને ગરીબ વચ્ચેના મુદ્દા પર કેન્દ્રિત થશે.
-
નેતાઓને મહત્વની સૂચના: રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને અલ્પસંખ્યકો વિરુદ્ધ થતી ઘટનાઓ સામે ડર્યા વગર અવાજ ઉઠાવવા જણાવ્યું છે.
-
આર્થિક મોરચે ઘેરાવ: દેશની આર્થિક સ્થિતિને કારણે સરકાર બેકફૂટ પર આવી જશે.
કોંગ્રેસ શરૂ કરશે ‘સાજી શહાદત-સાજી વિરાસત’ અભિયાન
દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કરવા માટે કોંગ્રેસ એક નવું દેશવ્યાપી અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનું નામ ‘સાજી શહાદત-સાજી વિરાસત’ રાખવામાં આવ્યું છે. અલ્પસંખ્યક કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી આ અભિયાનની આગેવાની કરશે. બેઠકમાં વરિષ્ઠ વકીલ અને સાંસદ અભિષેક મનુ સિંઘવીએ પણ ખાતરી આપી કે તેમની ટીમ અલ્પસંખ્યકો પર થતા અત્યાચારોના મામલામાં તાત્કાલિક કાનૂની મદદ પૂરી પાડશે.
મોંઘવારી મુદ્દે સરકાર પર પ્રહારો
મે મહિનામાં માત્ર ૧૦ દિવસની અંદર ત્રણ વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના રિસર્ચ ડિપાર્ટમેન્ટના વડા રાજીવ ગૌડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જનતા એ જોઈ રહી છે કે પેટ્રોલની કિંમત પહેલા ‘સદી’ ફટકારશે કે ડોલર સામે રૂપિયાનો ભાવ! તેમણે આરોપ લગાવ્યો કે સરકારે એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં ૫ રૂપિયાનો વધારો કરીને સામાન્ય જનતા પર મોટો બોજ નાખ્યો છે.
