ગુજરાતમાં સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનશે. રાજ્ય સરકારે નાગરિકોના હિતમાં એક બહુ મોટો નિર્ણય લીધો છે. જુદા-જુદા કામો માટે અલગ-અલગ લખાણવાળા સોગંદનામા (એફિડેવિટ) કરાવવાની ઝંઝટનો હવે કાયમી અંત આવ્યો છે.
નાગરિક સેવાઓને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે કાયદા વિભાગે રાજ્યવ્યાપી સ્વીકાર્ય “યુનિવર્સલ એફિડેવિટ” (Universal Affidavit) નું નવું ફોર્મેટ જાહેર કર્યું છે.
-
ગુજરાત સરકારે સમગ્ર રાજ્ય માટે એક સમાન એફિડેવિટ ફોર્મેટ જાહેર કર્યું છે.
-
કાયદા વિભાગ દ્વારા આ ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં તૈયાર કરાયું છે.
-
આ નવો નિયમ તમામ જન સેવા કેન્દ્રો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લાગુ થશે.
-
જે સેવાઓમાં કાયદાકીય જરૂરિયાત નથી, ત્યાં સોગંદનામાને બદલે માત્ર ‘સ્વઘોષણા’ જ ચાલશે.
નાગરિકોને મુશ્કેલીઓમાંથી મળશે મોટી રાહત
અત્યાર સુધી રાજ્ય સરકારના અલગ-અલગ વિભાગોની યોજનાઓ, દાખલાઓ કે અન્ય વ્યક્તિલક્ષી સેવાઓનો લાભ લેવા માટે અરજદારોએ અનેક પ્રકારના જુદા-જુદા સોગંદનામા રજૂ કરવા પડતા હતા. દસ્તાવેજોમાં આ પ્રકારની વિવિધતાને કારણે બિનજરૂરી જટિલતા ઊભી થતી હતી. આ પ્રક્રિયામાં સામાન્ય જનતાનો કિંમતી સમય વેડફાતો હતો અને વહીવટી કામોમાં પણ વિલંબ થતો હતો.
નાગરિકોને આ હાલાકીમાંથી મુક્તિ આપવા માટે સરકારે આ મોટો વહીવટી સુધારો કર્યો છે. હવેથી જે સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું જરૂરી હોય પરંતુ કોઈ ચોક્કસ ફોર્મેટ નક્કી ન હોય, ત્યાં આ એક જ સમાન ફોર્મેટ આખા રાજ્યમાં માન્ય રાખવામાં આવશે.
તમામ સરકારી કચેરીઓમાં ફરજિયાત સ્વીકારાશે
આ નવું યુનિવર્સલ એફિડેવિટ તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી સ્તરે કાર્યરત તમામ સરકારી કચેરીઓ, સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાતપણે સ્વીકારવામાં આવશે.
ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) તેમજ તમામ જન સેવા કેન્દ્રો ખાતે પણ આ એફિડેવિટનો સમાન રીતે અમલ શરૂ કરી દેવાયો છે. આનાથી ઓનલાઇન અરજી કરનારા અરજદારોને પણ ખૂબ મોટી સુવિધા મળશે.
જ્યાં જરૂર નથી ત્યાં સોગંદનામું ફરજિયાત નથી
સરકારે આ આદેશમાં એક મહત્વની બાબત સ્પષ્ટ કરી છે. જે સેવાઓ માટે કાયદાકીય રીતે એફિડેવિટ કરવાની કોઈ જરૂરિયાત નક્કી થયેલી નથી, તેવી સેવાઓમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ એફિડેવિટ કરાવવાની કોઈ જરૂર નથી.
ત્યાં એફિડેવિટના સ્થાને માત્ર ‘સ્વઘોષણા’ (Self-Declaration) ની સરળ પ્રક્રિયા પહેલાની જેમ જ ચાલુ રહેશે. જેથી નાગરિકોએ બિનજરૂરી સોગંદનામા કરાવવા માટે પૈસા અને સમય બગાડવો નહીં પડે.
< /p>
