પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકો માટે મોટા આનંદના સમાચાર આવ્યા છે. પંચામૃત ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.૧૦નો વધારો જાહેર કર્યો છે. આ નવો ભાવ વધારો ૧ ઓગસ્ટ ૨૦૨૬થી જ લાગુ કરી દેવામાં આવ્યો છે.
હવે કેટલો ભાવ મળશે?
-
અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.૮૭૫ ચૂકવવામાં આવતા હતા.
-
હવે રૂ.૧૦ના વધારા સાથે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.૮૮૫ મળશે.
ચોમાસાની ઋતુમાં પશુપાલકોને મોટો સહારા
ચોમાસાની ઋતુમાં પશુઓ માટે ઘાસચારો અને ખાણ-દાણનો ખર્ચ વધી જતો હોય છે. પશુપાલકોને આ વધતા ખર્ચ સામે આર્થિક સહાય મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા ચોમાસાને ધ્યાન રાખતા પશુપાલકોને આ ખાસ ભેટ આપવામાં આવી છે.
ચાલુ વર્ષે સતત ત્રીજી વખત ભાવ વધારો
નોંધનીય છે કે, ચાલુ વર્ષ દરમિયાન પંચામૃત ડેરી દ્વારા સતત ત્રીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ડેરીના આ નિર્ણયથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલક પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી છે.
