મધ્યપ્રદેશના ગુના (Guna) ખાતે આયોજિત એક સરકારી કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના બે ધારાસભ્યો જાહેરમાં સ્ટેજ પર જ સામસામે આવી ગયા હતા. ગુનાના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય પન્નાલાલ શાક્ય દ્વારા માતા સીતા, દ્રૌપદી અને સામાન્ય મહિલાઓ અંગે કરવામાં આવેલી અત્યંત આપત્તિજનક અને વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પક્ષના જ મહિલા ધારાસભ્ય પ્રિયંકા પેંચીએ જાહેરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. બંને લોકપ્રતિનિધિઓ વચ્ચે સ્ટેજ પર થયેલી તીખી બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે.
નાનાખેડી મંડી પરિસરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘બલરામ કૃષિ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. ખેડૂતો અને ખેતી સંબંધિત વિષયો પર બોલતી વખતે ધારાસભ્ય પન્નાલાલ શાક્ય અચાનક વિષયાંતર કરીને રામાયણ અને મહાભારતના ઐતિહાસિક પ્રસંગો ટાંકવા લાગ્યા હતા. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું હતું કે સીતા હરણના કારણે મોટા પાયે યુદ્ધ થયું અને ફક્ત પુરુષોનો જ સર્વનાશ થયો, સ્ત્રીઓ ક્યારેય મરતી નથી પણ પુરુષો જીવ ગુમાવે છે. આ ઉપરાંત તેમણે દ્રૌપદી અને પૃથ્વીરાજ ચૌહાણ-સંયોગિતાના પ્રકરણોનો ઉલ્લેખ કરી તમામ વિનાશ માટે મહિલાઓને જવાબદાર ઠેરવી હતી.
ये BJP विधायक पन्ना लाल शाक्य हैं, अपने भाषण में माता सीता को ‘मौत का सामान’ बता रहे हैं, ये भी कहा युद्ध में पुरुष मरे, महिलाएं नहीं, मंच से ही बीजेपी की महिला विधायक ने टोका तो उन्हें बैठा दिया pic.twitter.com/Ngs5CLm03g
— Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2026
આ મહિલા વિરોધી નિવેદનથી સ્ટેજ પર ઉપસ્થિત ચાંચૌડા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય પ્રિયંકા પેંચી અત્યંત ક્રોધિત થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક પોતાની બેઠક પરથી ઊભા થઈ માઇક પાસે જઈને ખુલ્લો વાંધો ઉઠાવ્યો હતો અને આવા અપમાનજનક શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું. જોકે, ભૂલ સ્વીકારવાને બદલે પન્નાલાલ શાક્ય તેમની સાથે પણ ઉદ્ધત વર્તન કરતાં બોલ્યા કે, “મેં ઘણી કિતાબો વાંચી છે અને મને ઇતિહાસની ખબર છે, તમે તમારી જગ્યા પર બેસી જાઓ.”
મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓની હાજરી વચ્ચે બંને નેતાઓ વચ્ચે થયેલા આ જાહેરમાં ઘર્ષણથી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ મહિલા સંગઠનો અને વિપક્ષ દ્વારા ભાજપના ધારાસભ્યની માનસિકતા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર રાજકારણીઓ દ્વારા જાહેર મંચ પરથી મહિલાઓ અને ધાર્મિક પાત્રો અંગે કરવામાં આવતી અશોભનીય નિવેદનબાજી સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.
