યોગ ગુરુ બાબા રામદેવ અને બોલિવૂડ એક્ટ્રેસ તથા ભાજપના સાંસદ કંગના રનૌત વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. કંગના રનૌતના ‘ગટર જેન-ઝી’ (Gutter Gen-Z) વાળા વિવાદાસ્પદ નિવેદન પર બાબા રામદેવે આકરી ટીકા કરતાં તેમના ભૂતકાળ અને અંગત જીવન પર ટિપ્પણી કરી હતી. આ નિવેદન સામે કંગનાએ સોશિયલ મીડિયા પર ખુલ્લો મોરચો માંડીને બાબા રામદેવને આડે હાથ લીધા છે.
કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, “બાબાજી, મારી જવાની કે મારા બેડરૂમ વિશે દિવસમાં સપના જોવાનું બંધ કરો. કોઈ માત્ર અફવાઓ અને ગપસપના આધારે અંદાજ લગાવી શકે છે. ઓછામાં ઓછું મને ખોટા અને ભ્રામક મેડિકલ દાવાઓ માટે ક્યારેય સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર પડી નથી. આ બાબતો નક્કર તથ્યો પર આધારિત છે, કોઈ અફવા પર નહીં. તેથી મને ચરિત્રના પાઠ ન ભણાવો, મારું ચરિત્ર તમારા કરતાં ઘણું વધારે સારું છે.”
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાબા રામદેવે એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન કંગના રનૌતની ઝાટકણી કાઢી હતી. રામદેવે કહ્યું હતું કે, “યુવા પેઢી (Gen-Z) ને ગટર કહેવું એ બગડેલા મગજની નિશાની છે અને ભાજપે તેની નોંધ લેવી જોઈએ. કંગનાનું બાળપણ કેવું રહ્યું છે, જવાની કેવી રહી છે અને ભૂતકાળના કારનામા કેવા રહ્યા છે તેના વિશે હું વાત કરવા માંગતો નથી.” રામદેવે વધુમાં ઉમેર્યું હતું કે યુવાનો દેશની તાકાત છે અને તેમને આવા શબ્દોથી સંબોધવા યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારી યુવતીઓ અને યુવાનોને ‘ગટર જેન-ઝી’ ગણાવ્યા હતા, જેને લઈને દેશભરમાં ભારે વિરોધ થયો હતો. જોકે, બાદમાં કંગનાએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિવેદન સમગ્ર યુવા પેઢી માટે નહીં, પરંતુ વિરોધ પ્રદર્શન દરમિયાન અયોગ્ય વર્તન કરનારા અમુક તત્વો પૂરતું હતું. હવે બાબા રામદેવના પ્રહાર સામે કંગનાના આકરા વળતા પ્રહારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
