મુંબઈ: બોલિવૂડના ઇતિહાસની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ‘3 ઇડિયટ્સ’ (3 Idiots) ના સિક્વલને લઈને ફેન્સ માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર આવ્યા છે. સુપરહિટ ફિલ્મો આપનારા ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ સત્તાવાર રીતે કન્ફર્મ કર્યું છે કે તેઓ આ ફિલ્મના બીજા ભાગ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર આમિર ખાન (રેંચો), આર. માધવન (ફરહાન) અને શરમન જોશી (રાજુ) ની ત્રિપુટી ધમાલ મચાવતી જોવા મળશે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રાજકુમાર હિરાનીએ ‘3 ઇડિયટ્સ 2’ ની વાર્તા કઈ દિશામાં આગળ વધશે, તે અંગે મહત્વના ખુલાસા કર્યા છે.
કોલેજ લાઈફ નહીં, હવે જોવા મળશે ‘મિડ-લાઈફ ક્રાઈસિસ’
એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે તેઓ અને તેમના રાઇટિંગ પાર્ટનર અભિજાત જોશી અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. તેમણે વાર્તાના પ્લોટ વિશે વાત કરતા કહ્યું, “આ વાર્તા મુખ્યત્વે એ બાબત પર આધારિત છે કે 15-20 વર્ષ પછી આ પાત્રોના જીવનમાં શું બદલાવ આવે છે. આ ફિલ્મ કોલેજ લાઈફ વિશે નથી. હવે આ પાત્રોના લગ્ન થઈ ગયા છે અને તેમને બાળકો પણ છે. તેઓ અત્યારે જીવનના એવા તબક્કા (Mid-life Crisis) માંથી પસાર થઈ રહ્યા છે જ્યાં જવાબદારીઓ વધી જાય છે.”
સિક્વલમાં પણ મળશે એક મોટો મેસેજ
પહેલી ફિલ્મમાં ‘ઓલ ઈઝ વેલ’ ના મંત્ર સાથે એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે માણસે ઘેટાચાલની રેસમાં દોડવાને બદલે પોતાના પેશન (જૂનૂન) ને ફોલો કરવું જોઈએ. આ મેસેજે દુનિયાભરના કરોડો યુવાનોને પ્રેરણા આપી હતી. હિરાનીએ પુષ્ટિ કરી છે કે પહેલા ભાગની જેમ જ સિક્વલમાં પણ એક ખૂબ જ મોટો અને અનોખો સામાજિક સંદેશ હશે. આ ફિલ્મમાં પણ પહેલી ફિલ્મ જેવી જ શાનદાર કોમેડી અને ઇમોશન જોવા મળશે.
‘3 ઇડિયટ્સ’ ની અદભૂત સફર
વર્ષ 2009 માં રિલીઝ થયેલી ‘3 ઇડિયટ્સ’ હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી અને લોકપ્રિય ફિલ્મોમાં સામેલ છે. ફિલ્મમાં મુખ્ય કલાકારો સિવાય કરીના કપૂર, બોમન ઈરાની અને ઓમી વૈદ્ય (ચતુર) એ પણ યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે 3 નેશનલ એવોર્ડ જીત્યા હતા. ભારત ઉપરાંત આ ફિલ્મ ચીનમાં પણ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મની લોકપ્રિયતા એટલી હતી કે તેની તમિલ અને મેક્સિકન ભાષામાં રીમેક પણ બનાવવામાં આવી હતી. હવે 10-15 વર્ષ પછી આ પાત્રોને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ફેન્સ ભારે આતુર છે.
< /p>
