મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેઓ દરરોજ પોતાના ફેન્સ માટે અવનવી પોસ્ટ અને બ્લોગ શેર કરતા હોય છે. તાજેતરમાં જ તેમણે પોતાના બ્લોગ પર એક એવી વાત શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. 83 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યેનું તેમનું સમર્પણ કોઈપણ યુવાનને શરમાવે તેવું છે.
દાયકાઓ સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કરવા છતાં અમિતાભ બચ્ચન આજે પણ પોતાના કામને વધુ સારું બનાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. હાલમાં જ તેમની એક પોસ્ટમાં આ વાત સાબિત થઈ છે.
કામને વધુ સારું બનાવવા આખી રાત જાગ્યા
અમિતાભ બચ્ચને પોતાના તાજેતરના બ્લોગમાં જણાવ્યું કે તેઓ કામના વિચારોના કારણે આખી રાત સોઈ શક્યા નથી. તેમણે હિન્દીમાં લખ્યું, “કામની થોડી ક્ષણો. કામ પૂરું કર્યા પછી મને લાગ્યું કે તેને હજુ વધુ સારું કરી શકાયું હોત. મને મંજૂરી મળી, તેથી મેં તે કામ ફરીથી કર્યું. હવે મને ખબર નથી કે તે પહેલા કરતાં સારું થયું છે કે નહીં. આ તો દર્શકો જ કહી શકશે. આ વિચારોના કારણે હું ઊંઘી ન શક્યો અને ક્યારે સવાર પડી ગઈ, ખબર જ ના પડી.”
એક જ દિવસમાં શૂટ કરી 12 શોર્ટ ફિલ્મ
આ પહેલા પણ બિગ બીએ તેમના વ્યસ્ત શિડ્યુલ વિશે ફેન્સને જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “કામ એ કામ છે. આજે મેં 12 શોર્ટ ફિલ્મો શૂટ કરી છે. સાથે જ 2 સ્ટિલ શૂટ પણ કર્યા છે. હવે હું તમારા બધા માટે આ બ્લોગ લખી રહ્યો છું.” તેમણે ઉમેર્યું કે ફેન્સ સાથે કનેક્ટ રહેવાની આ પ્રક્રિયા ક્યારેય અટકવી જોઈએ નહીં.
< /p>
અમિતાભ બચ્ચનનું આગામી કામ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન આગામી સમયમાં ડિરેક્ટર નાગ અશ્વિનની સુપરહિટ ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ ના સિક્વલમાં જોવા મળશે. વર્ષ 2024 માં રિલીઝ થયેલા પહેલા ભાગમાં તેમણે ‘અશ્વત્થામા’ નો રોલ કર્યો હતો, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
આ સિક્વલમાં તેઓ ફરી એકવાર કમલ હાસન અને પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણ આ સિક્વલનો હિસ્સો નહીં હોય અને તેની જગ્યાએ આલિયા ભટ્ટ અથવા સાઈ પલ્લવી જોવા મળી શકે છે.
