વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ખોરાકની સલામતીને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જો દૂષિત હોય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.
દુનિયામાં દર વર્ષે લાખો લોકો અસુરક્ષિત ખોરાકના કારણે ગંભીર બીમારીઓનો ભોગ બને છે. આ પ્રદૂષિત આહારનો સૌથી મોટો ભોગ માસૂમ બાળકો બની રહ્યા છે.
ડરામણા આંકડા: વાર્ષિક 86.6 કરોડ લોકો પડે છે બીમાર
WHO ના નવા અંદાજ મુજબ, દૂષિત ખોરાક હવે એક વૈશ્વિક રોગચાળા જેવું સ્વરૂપ લઈ રહ્યો છે:
-
વિશ્વમાં દર વર્ષે અસુરક્ષિત ખોરાક ખાવાથી આશરે ૮૬.૬ કરોડ લોકો બીમાર પડે છે.
-
આ દૂષિત આહારના કારણે વાર્ષિક ૧૫ લાખ લોકો પોતાના જીવ ગુમાવે છે.
-
જો લોકોને સ્વચ્છ પાણી, યોગ્ય સ્વચ્છતા અને સમયસર સારવાર મળે તો આમાંથી મોટાભાગના મૃત્યુ અટકાવી શકાય તેમ છે.
-
આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા જેવા વિસ્તારોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. દુનિયાના કુલ કેસમાંથી ૭૫% કેસ અને ૬૦% મોત માત્ર આ બે વિસ્તારોમાં જ થાય છે.
માસૂમ બાળકો પર સૌથી મોટું જોખમ
આ રિપોર્ટનો સૌથી ચિંતાજનક ભાગ બાળકો સાથે જોડાયેલો છે. પુખ્ત વયના લોકોની સરખામણીમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં બીમાર થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે.
નાના બાળકો વિશ્વની કુલ વસ્તીના માત્ર ૯% છે. આમ છતાં, ખોરાકજન્ય બીમારીઓના કુલ કેસમાંથી ત્રીજો ભાગ (૧/૩) માત્ર બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં ઝાડા-ઊલટી જેવા રોગો ઝડપથી જીવલેણ બની જાય છે. આ ઉપરાંત ખોરાકમાં ભળતા સીસું (Lead) અને મર્ક્યુરી જેવા કેમિકલ્સ બાળકના મગજને કાયમી નુકસાન પહોંચાડે છે.
બેક્ટેરિયા કરતાં કેમિકલ વધુ ઝેરી: 73% મોતનું કારણ રાસાયણિક પ્રદૂષણ
ખોરાક મુખ્યત્વે બે રીતે દૂષિત થાય છે: જૈવિક (બેક્ટેરિયા, વાયરસ) અને રાસાયણિક (ભારે ધાતુઓ અને ઝેરી રસાયણો).
-
બીમારીઓનું કારણ: વર્ષ ૨૦૨૧ માં બેક્ટેરિયા અને વાયરસ જેવા જૈવિક કારણોથી સૌથી વધુ એટલે કે ૮૬ કરોડ લોકો બીમાર પડ્યા હતા.
-
મૃત્યુનું કારણ: બીમારીઓ ભલે બેક્ટેરિયાથી વધુ થતી હોય, પણ મોતમાં કેમિકલનો હિસ્સો ઘણો મોટો છે. વર્ષ ૨૦૨૧ માં દૂષિત ખોરાકથી થયેલા કુલ મોતમાંથી ૭૩% મોત રાસાયણિક પ્રદૂષણના કારણે થયા હતા. આમાં આર્સેનિક (૪૨%) અને સીસું (૩૧%) સૌથી વધુ જવાબદાર હતા. આ કેમિકલ્સના કારણે હૃદય રોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓ થાય છે.
અર્થતંત્રને અબજો ડોલરનો ફટકો
અસુરક્ષિત ખોરાક માત્ર સ્વાસ્થ્ય જ નથી બગાડતો, પરંતુ દેશના અર્થતંત્રને પણ મોટું નુકસાન કરે છે. આ રોગોના કારણે લોકો કામ પર નથી જઈ શકતા. આના લીધે વર્ષ ૨૦૨૧ માં વૈશ્વિક ઉત્પાદકતામાં આશરે ૩૧૦ બિલિયન યુએસ ડોલરનું સીધું નુકસાન થયું હતું. જો મોંઘવારી દર અને જીવન ધોરણ મુજબ ગણતરી કરીએ, તો આ નુકસાન ૬૪૭ બિલિયન યુએસ ડોલર જેટલું મોટું છે.
ક્લાઈમેટ ચેન્જ અને WHO ની ચેતવણી
WHO ના જણાવ્યા અનુસાર, ક્લાઈમેટ ચેન્જના કારણે ખોરાક દૂષિત થવાનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. સાથે જ દવાઓની અસર ન થવાના કારણે (Anti-microbial Resistance) હવે ઇન્ફેક્શનની સારવાર પણ અઘરી બની રહી છે. આના ઉકેલ માટે ‘વન હેલ્થ’ અભિગમ અપનાવવો જરૂરી છે. એટલે કે મનુષ્ય, પ્રાણીઓ અને પર્યાવરણ—બધાના સ્વાસ્થ્યને એકસાથે જોડીને કડક નિયમો બનાવવા પડશે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2026 ની થીમ
દર વર્ષે ૭ જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે આ દિવસની ખાસ થીમ રાખવામાં આવી છે: ‘બોજથી ઉકેલો સુધી – દરેક જગ્યાએ સલામત ખોરાક’ (From burden to outcomes – safe food everywhere). આ અભિયાનનો મુખ્ય હેતુ તમામ દેશોને સાચો ડેટા આપીને વાસ્તવિક પગલાં ભરવા માટે પ્રેરિત કરવાનો છે.
<
