મધ્ય પ્રદેશ (MP) માં રાજ્યસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે. પક્ષપલટો અને ક્રોસ વોટિંગના ડરથી કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે. પોતાના ધારાસભ્યોને બચાવવા માટે કોંગ્રેસે હવે કિલ્લેબંધી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આજે જ પોતાના ધારાસભ્યોને વિશેષ વિમાન દ્વારા બેંગલુરુ (કર્ણાટક) મોકલી શકે છે. આ માટે તમામ ધારાસભ્યોને બપોરે ૧૨:૦૦ વાગ્યે વિપક્ષના નેતા ઉમંગ સિંઘારના બંગલે પહોંચવા આદેશ અપાયા છે. ત્યાંથી જ તમામ ધારાસભ્યોને સીધા શિફ્ટ કરવામાં આવશે.
ધારાસભ્યોને પરિવાર સાથે જવાની મંજૂરી
કોંગ્રેસ હાઈકમાન્ડે ધારાસભ્યોને પોતાના પરિવારના સભ્યોને સાથે લઈ જવાની છૂટ આપી છે. જોકે, કોઈ પણ ધારાસભ્ય પોતાના પર્સનલ સ્ટાફ કે નોકરોને સાથે નહીં લઈ જઈ શકે. ભાજપે ત્રીજી બેઠક માટે મહેશ કેવટને ઉમેદવાર બનાવતા જ કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જીતુ પટવારીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર
મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ ધારાસભ્યોના શિફ્ટિંગ અંગે સીધો કોઈ જવાબ આપ્યો નથી. પરંતુ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પટવારીએ જણાવ્યું કે, ભાજપે રાજ્યમાં ભ્રષ્ટાચારની સીમાઓ વટાવી દીધી છે. આ ‘અલી બાબા અને 40 ચોરોની સરકાર’ છે. તેમણે મુખ્યમંત્રી મોહન યાદવ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
OBC ઉમેદવારને લઈને ભાજપ પર સવાલો
જીતુ પટવારીએ ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ નથી, તેમ છતાં તેમણે ત્રીજો ઉમેદવાર ઊભો રાખ્યો છે. ભાજપે OBC સમુદાયના મહેશ કેવટને હારવા માટે જ મેદાનમાં ઉતાર્યા છે. જો ભાજપ ખરેખર OBC હિતેચ્છુ હોય તો તેમને પ્રથમ ક્રમના ઉમેદવાર કેમ ન બનાવ્યા?
પટવારીએ દાવો કર્યો છે કે તમામ પડકારો વચ્ચે પણ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જ જીત થશે.
<
