અફઘાનિસ્તાનમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનથી પોતાના વતન પરત ફરી રહેલા અફઘાન શરણાર્થી ઓથી ભરેલી એક ટ્રક પલટી જતાં 18 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં અન્ય 35 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં 10 બાળકો અને 5 મહિલાઓ સામેલ
પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા અબ્દુલ મલિક નિયાઝઈએ જણાવ્યું કે, આ દર્દનાક અકસ્માત શનિવારે પૂર્વ અફઘાનિસ્તાનના એક હાઈવે પર થયો હતો.
-
ક્યાં થયો અકસ્માત? આ ઘટના લઘમાન પ્રાંતમાં કાબુલ અને નંગરહાર પ્રાંતને જોડતા મુખ્ય હાઈવે પર બની હતી.
-
ભોગ બનેલા લોકો: ટ્રકમાં સવાર મોટાભાગના લોકો મહિલાઓ અને બાળકો હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા 18 લોકોમાં 10 બાળકો અને 5 મહિલાઓ સામેલ છે. ઘાયલોની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે અને તેમની સારવાર નંગરહારની હોસ્પિટલોમાં ચાલી રહી છે. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પાકિસ્તાનથી બળજબરીપૂર્વક હાંકી કઢાતા પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો એ હજારો અફઘાન શરણાર્થી ઓમાંથી એક હતા જેઓ હાલમાં જ પાકિસ્તાન છોડીને આવ્યા હતા.
વર્ષ 2023 માં પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી પાકિસ્તાન લાખો અફઘાન શરણાર્થીઓને દેશ છોડવા માટે મજબૂર કરી રહ્યું છે અથવા તેમને ડિપોર્ટ (દેશનિકાલ) કરી રહ્યું છે. પાકિસ્તાનની જેમ જ ઈરાને પણ અફઘાન પ્રવાસીઓને હાંકી કાઢવાની પ્રક્રિયા તેજ કરી છે. આ જ કારણે લાખો અફઘાન નાગરિકો, જેમાંથી ઘણાનો જન્મ પણ પાકિસ્તાનમાં થયો હતો, તેઓ અત્યારે લાચાર બનીને પોતાના વતન પરત ફરવા મજબૂર બન્યા છે.
