લુધિયાણા: પંજાબના લુધિયાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણીતી પંજાબી સિંગર ઇન્દર કૌર ઉર્ફે યશઇન્દર કૌરની ગન પોઇન્ટ પર અપહરણ કર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. સિંગરનો મૃતદેહ 6 દિવસ બાદ નીલો નહેરમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
શરૂઆતી તપાસ મુજબ, લગ્નનો ઇનકાર કરવા બદલ કેનેડાથી આવેલા યુવકે આ ભયાનક વારદાતને અંજામ આપ્યો હતો.
બજારમાંથી રાશન લેવા નીકળ્યા બાદ ગુમ થયા હતા
મૃતક સિંગર ઇન્દર કૌરના ભાઈ જોતઇન્દર સિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, 13 મેની રાત્રે આશરે 8:30 વાગ્યે ઇન્દર કૌર પોતાની કાર લઈને બજારમાંથી રાશન લેવા નીકળ્યા હતા. પરંતુ તેઓ મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ન હતા. પરિવારે ઘણી શોધખોળ કરી પણ કોઈ સુરાગ મળ્યો ન હતો.
કેનેડાથી આવીને યુવકે આપ્યો વારદાતને અંજામ
પરિવારના જણાવ્યા મુજબ, મોગાના ભલૂર ગામનો રહેવાસી સુખવિંદર સિંહ ઉર્ફે સુક્ખા સિંગર ઇન્દર કૌર પર અવારનવાર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જોકે, ઇન્દર કૌરે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
આ વાતની અદાવત રાખીને આરોપી સુખવિંદર ખાસ કેનેડાથી પંજાબ આવ્યો હતો. તેણે પોતાના સાથીદારો સાથે મળીને રસ્તામાં ઇન્દર કૌરને ઘેરી લીધા અને પિસ્તોલની અણીએ તેમનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેમની હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી હતી.
ગુનો આચરીને મુખ્ય આરોપી ફરી કેનેડા ભાગી ગયો
આરોપ છે કે હત્યાની આ સનસનાટીભરી વારદાતને અંજામ આપીને મુખ્ય આરોપી સુખવિંદર સિંહ ફરી કેનેડા ફરાર થઈ ગયો છે. પરિવારે પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારનું કહેવું છે કે 15 મેના રોજ જ ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે સમયસર યોગ્ય પગલાં લીધા ન હતા.
હાલ જમાલપુર થાણાની પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
