અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી એક અત્યંત દિલધડક અને દુખદ ઘટના સામે આવી છે. અહીં એક ૪૮ વર્ષીય મહિલાએ એક રહેણાંક ટાવરના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલા છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મેળવી છે.
સાતમા માળેથી મહિલાના ચંપલ મળી આવ્યા
આ ઘટના અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું કે, આનંદનગર વિસ્તારમાં રહેતા આશરે ૪૮ વર્ષીય સીમાબેન દવે નામના મહિલાએ શુભ દર્શન ફ્લેટના સાતમા માળેથી પડતું મૂક્યું હતું. પોલીસને બિલ્ડિંગના સાતમા માળેથી મહિલાના ચંપલ મળી આવ્યા છે. આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતી અને તેના આપઘાત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સુસાઇડ નોટમાં શું લખ્યું છે?
મૃતક મહિલા પાસેથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં મહિલાએ સ્પષ્ટ લખ્યું છે કે:
“મારા આ પગલાં માટે મારો પરિવાર કે મારા પતિ જવાબદાર નથી. હું મારી બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી રહી છું.”
ઘટનાની જાણ થતાં જ મહિલાના પતિ પણ પત્નીની બીમારીના કેસ પેપર અને દસ્તાવેજો લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પરિવાર મૂળ ધંધુકાના દવે બ્રાહ્મણ હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સોસાયટીમાં જઈને કેમ ભર્યું પગલું? પોલીસ તપાસ શરૂ
પોલીસ માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મહિલા આનંદનગર વિસ્તારમાં રહેતી હતી, તો તેણે સેટેલાઇટના શુભ દર્શન ફ્લેટમાં આવીને કેમ આપઘાત કર્યો? પોલીસને આશંકા છે કે કદાચ આ બિલ્ડિંગમાં તેમના કોઈ સંબંધી કે ઓળખીતા રહેતા હોઈ શકે છે. પોલીસ હાલમાં મહિલાના પતિ અને અન્ય સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માનસિક તણાવમાં મદદ મેળવો: આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. જો તમે કે તમારા કોઈ પરિચિત માનસિક તણાવ કે નકારાત્મક વિચારોનો સામનો કરી રહ્યા હોવ, તો ગુજરાત સરકારની માનસિક કાઉન્સેલિંગ હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર સંપર્ક કરો. અહીં ૨૪ કલાક નિષ્ણાતો દ્વારા તદ્દન મફત અને ગુપ્ત રીતે માર્ગદર્શન આપવામાં આવે છે. તમારું
જીવન ખૂબ કિંમતી છે.
