અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ અને ત્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નણંદના પ્રેમપ્રકરણ ની જાણ પરિવારને કરતા પરિણીતાને ઢોર માર મારી સંબંધ તોડી નાખવામાં આવ્યો છે. . ફતેવાડીમાં રહેતા સાસરિયાઓએ પરિણીતા પાસે મકાન અને એસી જેવા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં નણંદના પ્રેમપ્રકરણ ની જાણ થતાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતાના પિયરમાં જઈને મારઝૂડ કરી હતી. આ દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને સંબંધ કાપી નાખતા સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
-
સ્થળ: ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ.
-
આક્ષેપ: દહેજમાં મકાન અને એસી (AC) ની માંગણી.
-
મુખ્ય વિવાદ: નણંદના પ્રેમપ્રકરણ નો ખુલાસો કરતા મામલો બિચક્યો.
-
કાર્યવાહી: પીડિતાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ
20 વર્ષીય યુવતીના લગ્ન ડિસેમ્બર 2024માં અબ્દુલસમદ શેખ સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ સાસુ-સસરા અને નણંદે દહેજ બાબતે મેણા-ટોણા મારવાનું શરૂ કર્યું હતું. પતિના નામે મકાન કરી આપવા અને નવું એસી લાવવા માટે પરિણીતા પર સતત દબાણ કરવામાં આવતું હતું.
નણંદનું અફેર અને ત્રિપલ તલાક
પરિણીતાને જાણ થઈ હતી કે તેની નણંદનું કોઈની સાથે પ્રેમપ્રકરણ ચાલે છે. આ વાત તેણે સાસરિયાઓને જણાવી હતી. આ બાબતની અદાવત રાખીને સાસરિયા પક્ષે પરિણીતાને પિયરમાં બોલાવી હતી. ત્યાં માતા-પિતા અને પાડોશીઓની હાજરીમાં જ પતિએ પરિણીતાને માર માર્યો હતો. ઉશ્કેરાયેલા પતિએ જાહેરમાં ત્રણ વખત ‘તલાક’ બોલીને છેડો ફાડી નાખ્યો હતો.
પોલીસ ફરિયાદ અને તપાસ
તલાક આપ્યા બાદ સાસરિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે કંટાળીને પરિણીતાએ આ મામલે પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે દહેજ પ્રતિષેધ અધિનિયમ અને ત્રિપલ તલાકના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
