અમદાવાદ: નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલ પાસે આવેલ પેટ્રોલ પંપની સામેના ખુલ્લા ખેતરોમાં હાલ ગેરકાયદે બાંધકામનો વિવાદ વકર્યો છે. ખેતીની જમીન હોવા છતાં અને NA (બિન-ખેતી)ની મંજૂરી વગર અહીં મોટા પાયે લોખંડના શેડ અને ઈંટોનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
તંત્રની આંખ આડા કાન?
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ અંગે પૂર્વ ઝોન કમિશનરને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ ફરિયાદ બાદ થોડા દિવસ કામ બંધ રહ્યું હતું, પરંતુ હવે ફરીથી રાત-દિવસ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અહીં ગેરકાયદેસર રીતે મોટા ગેરેજ અને ખાણી-પીણી બજાર ઉભું કરવાની પેરવી ચાલી રહી છે.
રહીશોની મુખ્ય સમસ્યાઓ:
-
ટ્રાફિક અને પાર્કિંગ: ગેરકાયદે કોમર્શિયલ એક્ટિવિટીને કારણે વાહનોનો જમાવડો થાય છે, જે ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે.
-
ન્યુસન્સમાં વધારો: બાજુમાં આવેલા આવકાર ફ્લેટ, આંગન ફ્લેટ, રોયલ રિપોજ અને વ્હાઇટ હાઉસના પરિવારો આ અડચણથી કંટાળી ગયા છે.
-
દાદાગીરી: સ્થાનિકો જ્યારે વિરોધ કરે છે ત્યારે બાંધકામ કરનારાઓ ઝઘડો કરી ધમકી આપે છે કે તેઓ તંત્રને “હપ્તા” આપે છે.
-
ગેરકાયદે જોડાણો: રહીશોનો આક્ષેપ છે કે અહીં પાણી, ગટર અને વીજળીના કનેક્શન પણ ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યા છે.
કોર્પોરેટરો પાસે ન્યાયની આશા
આ વિસ્તારના મધ્યમ વર્ગીય પરિવારો શાંતિથી જીવવા માંગે છે, પરંતુ આ અસામાજિક તત્વોના ત્રાસથી તેઓ લાચાર બન્યા છે. નવા ચૂંટાયેલા કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનર આ બાબતે કડક તપાસ કરે અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
