આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાની ઘેલછા માનવતા અને ન્યાયિક પ્રક્રિયા બંને માટે ખતરો બની રહી છે. સુપ્રીમ કોર્ટ એ શુક્રવારે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
મોબાઈલ ધારક દરેક વ્યક્તિ ‘મીડિયા’ બની ગઈ છે
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે અવલોકન કર્યું કે, હાલમાં મોબાઈલ રાખનાર દરેક વ્યક્તિ પોતાની જાતને મીડિયા સમજી રહી છે. આ વૃત્તિ આરોપીઓની નિષ્પક્ષ સુનાવણી (Fair Trial) માટે મોટો અવરોધ ઉભો કરે છે.
-
માનવતા ભૂલાયા: જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, જ્યારે રસ્તા પર કોઈ અકસ્માત થાય છે અથવા કોઈ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો તેની મદદ કરવાને બદલે ‘કન્ટેન્ટ’ બનાવવા માટે વીડિયો ઉતારવા લાગે છે.
-
સંક્રામક રોગ: કોર્ટે આ પ્રવૃત્તિને એક ‘સંક્રામક રોગ’ જેવી ગણાવી છે.
પોલીસ અને સોશિયલ મીડિયા પૂર્વગ્રહ
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આનાથી નુકસાન શું થાય છે?
-
પૂર્વગ્રહ: જનતાના મનમાં આરોપી ગુનેગાર જ છે તેવો પૂર્વગ્રહ બંધાઈ જાય છે.
-
ન્યાયતંત્ર પર સવાલ: જ્યારે પુરાવાના અભાવે કોર્ટ આરોપીને નિર્દોષ છોડે છે, ત્યારે સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ લોકો ન્યાયતંત્ર પર શંકા કરે છે.
-
નકલી પત્રકારો: નાના શહેરોમાં લોકો નકલી ઓળખપત્ર બનાવીને મીડિયાકર્મી હોવાનો ડોળ કરે છે અને બ્લેકમેલિંગ જેવી પ્રવૃત્તિઓ કરે છે.
સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ
આ ગંભીર સ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) તૈયાર કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. આ SOP દ્વારા તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
