મુઝફ્ફરનગરના સિવિલ લાઈન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક જ રૂમમાંથી પતિ, પત્ની અને બે માસૂમ બાળકોના મૃતદેહ ( લાશ) મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
માત્ર ₹1500 માટે થયો હતો વિવાદ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ઈરશાદે (30 વર્ષ) તેની પરણેલી બહેનને ઈદ નિમિત્તે 1500 રૂપિયા આપ્યા હતા. બહેનનો પુત્ર બીમાર હોવાથી ઈરશાદે આ મદદ કરી હતી. જોકે, તેની પત્ની નૌરીનને (25 વર્ષ) આ વાત ગમી નહોતી. પત્નીએ સવાલ કર્યો કે મને પૂછ્યા વગર પૈસા કેમ આપ્યા? આ બાબતે ઘરમાં ભારે ઝઘડો થયો હતો.
સાસુ અને સાળીએ કર્યો હતો હંગામો
ઈરશાદના ભાઈ ઈનામના જણાવ્યા મુજબ:
-
સોમવારે નૌરીનની માતા અને બે બહેનો (સાળીઓ) ઘરે આવી હતી.
-
તેમણે પૈસાના લેવડદેવડ બાબતે મોટો હંગામો કર્યો અને ગાળાગાળી કરી હતી.
-
રાત્રે 4 વાગ્યા સુધી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો હતો.
પત્ની-બાળકોને ઝેર આપી પતિએ લગાવી ફાંસી
પ્રાથમિક તપાસ મુજબ, ઝઘડાથી કંટાળીને ઈરશાદે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે:
-
ઈરશાદે પહેલા તેની પત્ની નૌરીન, 2 વર્ષના પુત્ર આહિલ અને માત્ર 1 મહિનાની પુત્રી અક્સાને ઝેરી પદાર્થ આપ્યો હોવાની શંકા છે.
-
પત્ની અને બાળકોના મોત બાદ ઈરશાદે પોતે પંખા સાથે લટકીને ફાંસી ખાઈ લીધી હતી.
-
સવારે જ્યારે રૂમ ન ખુલ્યો ત્યારે પાડોશીઓએ દરવાજો તોડ્યો, જ્યાં ચારેયના મૃતદેહ (લાશ ) મળી આવ્યા હતા.
પોલીસનું શું કહેવું છે?
મુઝફ્ફરનગરના SSP સંજય કુમાર વર્માએ જણાવ્યું કે, રૂમ અંદરથી બંધ હતો. બાળકોના મોઢામાંથી ફીણ નીકળ્યા છે, જે ઝેર આપ્યું હોવાના સંકેત આપે છે. જોકે, મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. હાલમાં પોલીસ દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી રહી છે.
