હોર્મુઝ સ્ટ્રેટ પરના ઉથલપાથલ વચ્ચે, ભારત માટે સારા સમાચાર છે. તેહરાને સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવી રહ્યો નથી. વધુમાં, એવું પણ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવશે. ઈરાને સ્પષ્ટ જાહેરાત કરી છે કે તે હોર્મુઝ ની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ વસૂલશે નહીં.
ઈરાની રાજદૂતનું મોટું નિવેદન
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ભારત અને ઈરાનના સંબંધો ખૂબ જ મજબૂત અને ભરોસાપાત્ર છે. મુશ્કેલ સમયમાં પણ ભારતે પોતાને એક સમજદાર સાથી સાબિત કર્યો છે.” તેમણે ખાતરી આપી હતી કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ સુરક્ષિત રસ્તો આપવામાં આવશે.
અમેરિકી નાકાબંધી વચ્ચે ભારતને રાહત
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાની બંદરો અને હોર્મુઝ જળમાર્ગ પર સખત નાકાબંધી કરી છે. સીઝફાયર બાદ એવી અટકળો હતી કે ઈરાન અને ઓમાન આ રસ્તેથી પસાર થતા જહાજો પર ટેક્સ લગાવી શકે છે, પરંતુ ઈરાને ભારતને આમાંથી મુક્તિ આપી છે.
15 ભારતીય જહાજોને પરત લાવવાની તૈયારી : હોર્મુઝ
ભારતનું જળમાર્ગ મંત્રાલય હાલમાં હોર્મુઝ માં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યું છે. ઈરાન ટૂંક સમયમાં એક નવી વ્યવસ્થા જાહેર કરશે, જેના દ્વારા જહાજોના આવાગમનની પ્રક્રિયા વધુ સરળ બનશે.
જળમાર્ગ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 15 ભારતીય ધ્વજવાળા જહાજોને સ્વદેશ પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે, “અમે અમારા જહાજોને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરવા માટે વિદેશ મંત્રાલય સાથે કામ કરી રહ્યા છીએ. હાલમાં, કુલ 15 ભારતીય ધ્વજવાળા અને ભારતીય માલિકીના જહાજો ત્યાં હાજર છે.”
ઘણા દેશોએ ઈરાની બંદરો પર યુએસ નાકાબંધીને સમર્થન આપ્યું નથી. બ્રિટને ખુલ્લેઆમ કહ્યું છે કે તે તેનું સમર્થન કરશે નહીં. ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે તેને આ અંગે યુએસ તરફથી કોઈ સંદેશાવ્યવહાર મળ્યો નથી.
