મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વતની અને નિષ્ઠાવાન છબી ધરાવતા IAS અધિકારી તુકારામ મુંઢે એ સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેની અસ્થિઓ પવિત્ર નદીમાં વિસર્જિત કરવાની પરંપરા છે, પરંતુ મુંઢેએ આ પરંપરાને સ્થાને પર્યાવરણના જતનને પ્રાધાન્ય આપ્યું છે.
અસ્થિ વિસર્જનને બદલે વડનું વૃક્ષ વાવ્યું:
તાજેતરમાં જ તુકારામ મુંઢે ની માતા આસરાબાઈ મુંઢેનું નિધન થયું હતું. પરંપરા મુજબ અસ્થિઓને નદીમાં પધરાવવાને બદલે, તુકારામ અને તેમના ભાઈ અશોક મુંઢેએ ઘરના આંગણે વડનું વૃક્ષ વાવ્યું અને માતાની અસ્થિઓ ત્યાં જ માટીમાં પધરાવી. તેમનું માનવું છે કે આ રીતે તેમની માતા વૃક્ષના રૂપમાં હંમેશા તેમની સાથે જીવંત રહેશે.
પરંપરાગત કર્મકાંડનો ત્યાગ
માત્ર અસ્થિ વિસર્જન જ નહીં, પણ તેમણે જાહેર કર્યું છે કે માતાના નિધન બાદ થતા પરંપરાગત કર્મકાંડ જેવા કે દસમું, તેરમું કે શ્રાદ્ધ ભોજન જેવી કોઈ વિધિઓ કરવામાં આવશે નહીં. રૂઢિચુસ્ત પરંપરાઓ અને દેખાડા પાછળ થતા ખર્ચને બદલે તેમણે સાદગી અને પર્યાવરણલક્ષી અભિગમ અપનાવ્યો છે.
કોણ છે IAS તુકારામ મુંઢે ?
તુકારામ મુંઢે મહારાષ્ટ્ર કેડરના સિનિયર IAS અધિકારી છે, જેઓ પોતાની કડક કાર્યશૈલી અને ઈમાનદારી માટે જાણીતા છે.
-
ટ્રાન્સફરનો રેકોર્ડ: તેમના 21 વર્ષના કરિયરમાં અત્યાર સુધીમાં 24 વખત બદલી થઈ ચૂકી છે.
-
મહારાષ્ટ્રના ‘અશોક ખેમકા’: વારંવાર થતી બદલીઓને કારણે સોશિયલ મીડિયા પર લોકો તેમને હરિયાણાના અધિકારી અશોક ખેમકા સાથે સરખાવે છે.
-
વોટરમેન: જળ સંચય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના તેમના કાર્યોને કારણે તેઓ સામાન્ય જનતામાં ખૂબ લોકપ્રિય છે.
સંઘર્ષમાંથી સફળતાની સફર
બીડના એક ખેડૂત પરિવારમાં જન્મેલા તુકારામ મુંઢે એ અનેક મુશ્કેલીઓ વેઠીને શિક્ષણ મેળવ્યું હતું. વર્ષ 2005માં તેમણે UPSC પરીક્ષા પાસ કરી હતી. ભ્રષ્ટાચારીઓ તેમના નામથી ફફડે છે, જ્યારે સામાન્ય લોકો માટે તેઓ આશાનું કિરણ છે.
