ભાવનગરના રાજકારણમાં આજે (6 એપ્રિલ, 2026) ભારે રસાકસી વચ્ચે એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભાજપના વડવા ‘બ’ વોર્ડના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યાના ગણતરીના કલાકોમાં જ ફરી કેસરીયો ધારણ કરી લેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
મેનિફેસ્ટોના કાર્યક્રમમાં જોડાયા અને બપોરે સેજલબેન ઘરવાપસી
કોંગ્રેસે જ્યારે પોતાનું ચૂંટણીલક્ષી મેનિફેસ્ટો જાહેર કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો, તે દરમિયાન જ સેજલબેન ગોહેલ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, તેમનો કોંગ્રેસનો કાર્યકાળ લાંબો સમય ચાલ્યો નહીં અને માત્ર 3 જ કલાકમાં તેમણે ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
સેજલબેનનો ખુલાસો: “મને ભોળવીને લઈ જવાઈ હતી”
ભાજપમાં પરત ફર્યા બાદ સેજલબેન ગોહેલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે:
-
“મને લાલચ આપીને અને ભોળવીને કોંગ્રેસમાં લઈ જવામાં આવી હતી.”
-
“મને તરત જ મારી ભૂલ સમજાઈ એટલે હું પરત ભાજપમાં જોડાઈ છું.”
-
“ભાજપ મારો પરિવાર છે અને મને અહેસાસ થતાં જ મેં ઘરવાપસી કરી છે.”
કોંગ્રેસના ભાજપ પર પ્રહારો
બીજી તરફ, કોંગ્રેસે આ મામલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ દબાણનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે સેજલબેન સામેથી કોંગ્રેસ કાર્યાલય આવ્યા હતા અને ભાજપની વિચારધારાથી કંટાળીને જોડાયા હતા, પરંતુ ભાજપે તેમને ડરાવી-ધમકાવીને પરત ખેંચ્યા છે.
સોશિયલ મીડિયા પર રમૂજ
આ સમગ્ર ઘટનાક્રમે ભાવનગરના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ‘3 કલાકના પક્ષ પલટા’ વિશે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ અને મીમ્સ શેર કરી રહ્યા છે. ભાજપે સેજલબેનનું પુનઃ સ્વાગત કરીને આ વિવાદ પર હાલ પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.
