સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી હતી અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ભારે વરસાદ છતાં રાજ્યના હજુ ઘણાં વિસ્તારો કોરા હોવાથી અડધાથી વધુ ડેમો ખાલી જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી.
ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા ભારે વરસાદને કારણે રાજ્યભરમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે ૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૪૨૫ રસ્તાઓ હજી પણ બંધ છે. એસટી બસ સેવાના ૭૩ રૂટની ૨૬૬ ટ્રિપ ખોરવાઈ ગઈ છે, જ્યારે ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. ગામો અને શહેરો બેટમાં ફેરવાઈ જતાં તંત્ર દ્વારા ૭,૫૨૨ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે ૩,૭૧૧ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ રાજ્યના કુલ ૨૦૬ ડેમો પૈકી ૫ ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયા છે. પાણીની વિપુલ આવકને પગલે સુરક્ષાના ભાગરૂપે ૧૧ ડેમોને ‘હાઈ એલર્ટ’ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના ૧૦૯ ડેમો એવા છે જેમાં હજુ પણ ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં ૬૪ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય ૨૦૬ જળાશયોમાં હાલ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર ૪૦.૦૧ ટકા જેટલો જ જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૨૪ ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ તે પછીના એક સપ્તાહ સુધી કોઈ એલર્ટ નથી. વીજપોલ અને ફીડરોના સમારકામ બાદ હવે ધીમે-ધીમે જનજીવન પાટે ચડશે.
