ગુજરાત અને મુંબઈના વેપારીઓને નકલી વેપારી તેમજ આંગડિયા પેઢીના કર્મચારી બનીને લૂંટતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. અમદાવાદની કાગડાપીઠ પોલીસે આ મામલે ભુજ ખાતેથી બે શાતિર ઠગની ધરપકડ કરી છે.
પોલીસે આ કેસમાં 36 વર્ષીય જગદીશ ઠક્કર અને તેના સાથીદાર 37 વર્ષીય મુકેશ સોરઠીયાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને આરોપીઓએ છેલ્લા 7 વર્ષમાં અલગ-અલગ વેપારીઓ પાસેથી ₹1 કરોડથી વધુની રોકડ અને માલસામાન પડાવી લીધો છે.
આ રીતે પોલીસના સકંજામાં આવ્યા ઠગ
મળતી વિગતો મુજબ, થોડા સમય પહેલા અમદાવાદના ગીતામંદિર વિસ્તારના બે મોબાઈલ એસેસરીઝના વેપારીઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમની સાથે આંગડિયા પેઢીના નામે ઠગાઈ થઈ હતી.
-
સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ: આ ઘટના બાદ વડોદરાના એક વેપારીએ પણ પોતાની સાથે થયેલી આવી જ ઠગાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
-
ટેકનિકલ સર્વેલન્સથી ધરપકડ: કાગડાપીઠ પોલીસે આ ફરિયાદો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી હતી અને અંતે ભુજથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.
ચોક્કસ પ્લાનિંગ કરીને વેપારીઓને ફસાવતા
મુખ્ય આરોપી જગદીશ ઠક્કર ખૂબ જ શાતિર મગજનો છે અને તે આખી યોજના ઘડતો હતો.
-
ઓનલાઈન નંબર મેળવતો: જગદીશ ગૂગલ કે યુટ્યુબ પરથી જથ્થાબંધ (Wholesale) વેપારીઓના નંબર શોધી કાઢતો હતો. ત્યારબાદ તે વેપારીઓ પાસે ઓનલાઈન ફોટા મંગાવીને માલનો ઓર્ડર આપતો અને બિલ બનાવડાવતો.
-
નકલી આંગડિયા કર્મીનો ફોન: જગદીશ વેપારીને ફોન કરીને ખોટું કહેતો કે તેણે બિલની રકમ કરતાં 10થી 15 હજાર રૂપિયા વધારે આંગડિયામાં જમા કરાવ્યા છે. બરાબર એ જ સમયે તેનો મિત્ર મુકેશ આંગડિયા પેઢીનો કર્મચારી બનીને વેપારીને ફોન કરતો અને બોગસ ટોકન નંબર આપીને વિશ્વાસ જીતતો હતો.
-
ક્યૂઆર કોડથી નાણાં ટ્રાન્સફર: ત્યારબાદ જગદીશ ફરીથી વેપારીને ફોન કરીને વિનંતી કરતો કે તેણે જે વધારાના 10-15 હજાર રૂપિયા મોકલ્યા છે, તે તાત્કાલિક ક્યૂઆર (QR) કોડ પર ઓનલાઈન ટ્રાન્સફર કરી દે. વેપારીઓ આંગડિયાવાળાના ફોનથી વિશ્વાસમાં આવી જતા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરીને છેતરપિંડીનો ભોગ બનતા હતા.
નાની રકમની ઠગાઈ કરીને પોલીસથી બચતા હતા
આ બંને ઠગ છેલ્લા સાત વર્ષથી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં વેપારીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા. તેમની મોડસ ઓપરેન્ડી (Modus Operandi) એ હતી કે તેઓ એક જ વેપારી પાસેથી મોટી રકમ પડાવવાને બદલે માત્ર 10થી 15 હજાર રૂપિયાની જ ઠગાઈ કરતા હતા. રકમ નાની હોવાને કારણે મોટાભાગના વેપારીઓ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું ટાળતા અને ફરિયાદ નહોતા કરતા. આ વાતનો ફાયદો ઉઠાવીને તેઓ લાંબા સમય સુધી પોલીસની નજરથી બચતા રહ્યા હતા.
મુંબઈમાં પણ આચર્યું છે કરોડોનું કૌભાંડ
આરોપી જગદીશ અગાઉ મુંબઈમાં રહેતો હતો અને આ પ્રકારની ઠગાઈનો આખો પ્લાન તેણે ત્યાં જ તૈયાર કર્યો હતો. મુંબઈમાં પણ તેણે આ જ રીતે વેપારીઓ સાથે આશરે ₹1 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી છે.
આ ગેંગે માત્ર મોબાઈલ એસેસરીઝના વેપારીઓને જ નહીં, પણ કાજુ-બદામ, ઘડિયાળ, કપડાં, કટલેરી, પાકીટ, બેલ્ટ, ખારીસિંગ અને મરચાંના વેપારીઓને પણ પોતાની જાળમાં ફસાવીને લૂંટ્યા છે. પોલીસે હાલ તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
