બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. તાજેતરમાં વધુ બે ખેડૂતો સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી ગેરકાયદે રીતે નાણાં ઉપડી ગયા હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
વાવ અને થરાદમાં ખેડૂતના ખાતામાંથી 8500 રૂપિયા ગાયબ
થરાદના વડગામડા ગામના ખેડૂત વાઘાભાઈ ચૌધરીના SBI ખાતામાંથી અચાનક નાણાં કપાઈ ગયા હતા.
-
તારીખ 29 માર્ચ 2026ના રોજ રવિવારે તેઓ ઘરે હતા.
-
અચાનક મોબાઈલ પર 8500 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો.
-
વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કર્યો ન હોવા છતાં પૈસા કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.
મેસેજ આવ્યા વગર 10 હજાર ઉપડી ગયા
અન્ય એક કિસ્સામાં એક પ્રજાપતિ ખેડૂતના ખાતામાંથી 10 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમને પૈસા કપાયાનો કોઈ મેસેજ પણ આવ્યો ન હતો. જ્યારે તેમણે SBI YONO એપમાં ચેક કર્યું ત્યારે આ છેતરપિંડીની ખબર પડી હતી.
100થી વધુ લોકો ભોગ બન્યા હોવાની આશંકા
ભોગ બનનાર ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં તેમના એકલાના નહીં પણ 100થી વધુ લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે. બેંક અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે અત્યારે આ પ્રકારના સાયબર ફ્રોડ ખૂબ વધી રહ્યા છે.
શું કરી કાર્યવાહી?
-
વાઘાભાઈએ સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.
-
બંને ખેડૂતોએ પોલીસમાં લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.
-
પોતાની મહેનતની કમાણી પરત અપાવવા ખેડૂતોએ વિનંતી કરી છે.
