હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રાયગઢમાં નકલી દૂધ બાદ હવે નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ફૂડ સેફ્ટી વિભાગે દરોડો પાડીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા શખસને ઝડપી પાડ્યો છે.
કઈ રીતે બનતું હતું નકલી ઘી?
ફૂડ વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી ખુબીરામ શર્મા પોતાના ઘરે જ તેલ અને વનસ્પતિ ઘીમાં એક ખાસ પ્રકારનો સફેદ પાવડર ભેળવતો હતો. આ ભેળસેળથી તેલ આબેહૂબ શુદ્ધ દેશી ઘી જેવું દેખાતું હતું.
દરોડા દરમિયાન શું મળી આવ્યું?
-
સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીનો જથ્થો.
-
શંકાસ્પદ સફેદ પાવડર (જે ઘી જેવી સુગંધ અને ટેક્સચર આપવા વપરાતો).
-
કુલ 208 કિલો નકલી ઘી નો જથ્થો.
-
જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજે ₹50,000 થી વધુ છે.
આરોગ્ય માટે અત્યંત જોખમી
ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા અનુસાર, ઘીમાં ભેળવવામાં આવતો આ સફેદ પાવડર માનવ શરીર માટે ‘ઝેર’ સમાન સાબિત થઈ શકે છે. વિભાગે તમામ નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠામાં વધતા ભેળસેળના કિસ્સા
છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠામાં નકલી ઘી ખાદ્ય પદાર્થોનું ચલણ વધ્યું છે. નફો કમાવવાની લાલચમાં ભેળસેળિયા તત્ત્વો લોકોના લીવર અને પાચનતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગ્રાહકોએ બજારમાંથી ખુલ્લું કે સસ્તું ઘી ખરીદતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
