મનોરંજન જગતની ઝાકઝમાળ પાછળ ક્યારેક એવા દુઃખ છુપાયેલા હોય છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. જાણીતી ટીવી એક્ટ્રેસ સ્નેહલ રાય તાજેતરમાં પોતાની જિંદગીના એવા પાના ખોલ્યા છે, જેને સાંભળીને કોઈપણની આંખો ભીની થઈ જાય. ‘ઈશ્ક કા રંગ સફેદ’ ફેમ સ્નેહલ રાયે પોતાના 4 મહિનાના માસૂમ પુત્રને ગુમાવવાનું દર્દ શેર કર્યું છે.
સંતાનને ગુમાવવું એ 100 મૃત્યુ સમાન છે
સ્નેહલ રાયે એક ભાવુક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ રુદ્ર હતું. પરંતુ કમનસીબે, માત્ર 4 મહિનાની ઉંમરે બીમારીને કારણે તેનું નિધન થયું હતું. સ્નેહલે આ દુઃખ વ્યક્ત કરતા કહ્યું, “પોતાના બાળકને ગુમાવવું એ સો મૃત્યુ સમાન છે.” આ ઘટના બાદ સ્નેહલ સંપૂર્ણપણે ભાંગી પડી હતી. તેણે પોતાને એક અઠવાડિયા સુધી રૂમમાં બંધ કરી દીધી હતી અને તેનું વજન ઘટીને માત્ર 40 કિલો થઈ ગયું હતું. તે સમયે તેને લાગતું હતું કે હવે તેની જિંદગીનો કોઈ અર્થ રહ્યો નથી.
21 વર્ષ મોટા નેતા સાથે લગ્ન અને ટ્રોલિંગ
સ્નેહલ રાય તેની પ્રોફેશનલ લાઈફ કરતા વધુ પોતાની પર્સનલ લાઈફ અને લગ્નને લઈને ચર્ચામાં રહી છે. વર્ષ 2023 માં તેણે ખુલાસો કર્યો હતો કે તેણે પોતાનાથી 21 વર્ષ મોટા રાજકારણી માધવેન્દ્ર રાય સાથે લગ્ન કર્યા છે. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે સ્નેહલની ઉંમર માત્ર 23 વર્ષ હતી અને તેના પતિ 44 વર્ષના હતા. આ મોટી ઉંમરના તફાવતને કારણે સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેને ‘ગોલ્ડ ડિગર’ પણ કહી હતી.
જોકે, સ્નેહલે ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, “હા, હું ગોલ્ડ ડિગર છું, કારણ કે મારા પતિનું દિલ 24 કેરેટ સોના જેવું ચોખ્ખું છે.” સ્નેહલ માને છે કે ઉંમર કરતા પરસ્પર સમજણ વધુ મહત્વની છે. તેના મુશ્કેલ સમયમાં તેના પતિ અને મિત્રોએ તેને માનસિક આઘાતમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી.
અનાથ આશ્રમે આપી જીવવાની નવી આશા
પુત્રના નિધન બાદ સ્નેહલ ડિપ્રેશનમાં જતી રહી હતી. તે સમયે તેના મિત્રો તેને અનાથ આશ્રમમાં લઈ ગયા હતા. ત્યાં બાળકોને જોઈને સ્નેહલને સમજાયું કે દુનિયામાં હજુ પણ ઘણું કરવાનું બાકી છે. આ બાળકોના સ્મિતે તેને ફરીથી જીવવાની પ્રેરણા આપી. આજે સ્નેહલ એક્ટિંગથી દૂર હોવા છતાં સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે અને સામાજિક કાર્યોમાં પણ રસ લે છે.
