ભારતીય ચૂંટણી પંચે દેશમાં ચૂંટણીઓનો મોટો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચે આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ દેશમાં 27 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ સાથે જ બે રાજ્યોની 17 વિધાન પરિષદ (MLC) બેઠકો માટે પણ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
-
ચૂંટણી પંચે રાજ્યસભાની 27 અને વિધાન પરિષદની 17 બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
-
બધી બેઠકો માટે આગામી 18 જૂને મતદાન યોજાશે.
-
ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા આજે એટલે કે 1 જૂનથી જ શરૂ થઈ ગઈ છે.
-
મતદાન પૂર્ણ થયા બાદ 18 જૂને જ સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ (Important Dates)
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તમામ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. સવારના 11 વાગ્યાથી ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું છે. ઉમેદવારો આગામી 8 જૂનના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાના નામાંકન પત્ર ભરી શકશે.
ભરાયેલા ફોર્મની ચકાસણી (સ્કરૂટિની) 9 જૂને કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચવા માંગે છે, તો તેના માટે છેલ્લી તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે. આ પછી 18 જૂને સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. મતદાન પૂરું થયા બાદ તે જ દિવસે પરિણામો પણ જાહેર કરવામાં આવશે.
કઈ-કઈ બેઠકો પર યોજાશે ચૂંટણી?
આ જાહેરનામામાં રાજ્યસભાની દ્વિવાર્ષિક અને પેટાચૂંટણી બંનેનો સમાવેશ થાય છે. દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર નિયમિત (દ્વિવાર્ષિક) ચૂંટણી યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઓડિશાની 1-1 બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ રીતે કુલ 27 રાજ્યસભા બેઠકો માટે મતદાન થશે.
બીજી તરફ વિધાન પરિષદની વાત કરીએ તો બિહારની 9 બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી અને 1 બેઠક પર પેટાચૂંટણી થશે. જ્યારે કર્ણાટક વિધાન પરિષદની 7 બેઠકો પર પણ દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે. આમ, વિધાન પરિષદની કુલ 17 બેઠકો માટે પણ આ જ દિવસે પ્રક્રિયા પૂર્ણ થશે.
<
