ભારતના એવિએશન સેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે દેશની 91% ફ્લાઈટ્સનું સંચાલન માત્ર બે જ મોટા ગ્રૂપ કરી રહ્યા છે. જાણો સંસદમાં રજૂ થયેલા ચોંકાવનારા આંકડા. સરકારના જણાવ્યા મુજબ, દેશના આકાશમાં માત્ર બે એરલાઈન્સ ગ્રૂપ ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રૂપનું વર્ચસ્વ છે. આ બે કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટની કુલ ફ્લાઈટમાંથી 91% ફ્લાઈટોનું સંચાલન કરે છે, જ્યારે બાકીનું 9 ટકા ફ્લાઈટોનું સંચાલન અન્ય કંપનીઓ પાસે છે.
માર્કેટમાં માત્ર બે કંપનીઓનો દબદબો
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એવિએશન સેક્ટરનો નવો ડેટા રજૂ કર્યો છે. આ આંકડા મુજબ, ભારતીય આકાશમાં હવે માત્ર ઈન્ડિગો (IndiGo) અને એર ઈન્ડિયા ગ્રૂપનું જ વર્ચસ્વ છે. આ બંને કંપનીઓ મળીને કુલ ડોમેસ્ટિક માર્કેટના 91% હિસ્સા પર કબજો ધરાવે છે. બાકીની અન્ય કંપનીઓ પાસે માત્ર 9% હિસ્સો જ બચ્યો છે.
કોણ છે નંબર-1 અને કોણ નંબર-2?
રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રજૂ કરેલા આંકડા નીચે મુજબ છે:
-
ઈન્ડિગો (IndiGo): 2025માં કુલ 64% ફ્લાઈટ્સનું સંચાલન કર્યું. જાન્યુઆરી-2026માં આ હિસ્સો 63.6% રહ્યો.
-
એર ઈન્ડિયા ગ્રૂપ: આ ગ્રૂપમાં એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારાનો સમાવેશ થાય છે. તેમણે 2025માં 27% અને જાન્યુઆરી-2026માં 26.5% ફ્લાઈટ્સ ઓપરેટ કરી.
ડિસેમ્બર 2025: મુસાફરો માટે કપરો સમય
સંસદમાં સરકારે સ્વીકાર્યું કે ડિસેમ્બર 2025માં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
-
ઈન્ડિગોએ 5,689 ફ્લાઈટ્સ રદ કરી હતી.
-
માત્ર ત્રણ દિવસમાં 3.64 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા હતા.
-
ફ્લાઈટ્સ રદ થવાનું મુખ્ય કારણ પાયલોટ શેડ્યૂલિંગમાં ખામી અને નવા નિયમોનું પાલન ન થવું હતું.
રૂ. 46 કરોડનું ચૂકવાયું વળતર
ફ્લાઈટો રદ થવાને કારણે થયેલા હોબાળા બાદ એરલાઈન્સે મુસાફરોને વળતર ચૂકવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ:
-
ઈન્ડિગોએ અત્યાર સુધીમાં 46.20 કરોડ રૂપિયા (4620.5 લાખ) નું વળતર ચૂકવ્યું છે.
-
મંત્રાલયે ખાતરી આપી છે કે ડિસેમ્બર મહિનામાં કેન્સલ થયેલી ફ્લાઈટ્સનું રિફંડ ગ્રાહકોને મળી ગયું છે.
