કોઈપણ યુવા ક્રિકેટર માટે પોતાના દેશ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવું એ જીવનના સૌથી મોટા સપના સમાન હોય છે. પરંતુ શ્રીલંકાના ૨૬ વર્ષીય બેટ્સમેન પસિન્દુ સોરિયાબંદારા માટે તેનું ટેસ્ટ ડેબ્યૂ કારકિર્દીની સૌથી કમનસીબ અને નિરાશાજનક ક્ષણ સાબિત થયું છે. ભારત સામે ગૉલ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું, છતાં મેચની વચ્ચે અણધારી એન્ટ્રી થઈ અને બેટિંગ કરતી વખતે તે પહેલા જ બોલ પર પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન શ્રીલંકાના અનુભવી બેટર દિનેશ ચંદીમલ બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમના ખભા અને માથામાં ઈજા પહોંચતા સ્કેન માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તબીબોએ તેમને આગળ રમવા માટે અસમર્થ જાહેર કરતાં નિયમ મુજબ કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે પસિન્દુ સોરિયાબંદારાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. સોરિયાબંદારાએ ભારતના બીજા દાવ દરમિયાન લાંબો સમય મેદાન પર ફિલ્ડિંગ કરી હતી.
ભારતે શ્રીલંકા સામે જીત માટે ૩૭૨ રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. બીજા દાવમાં શ્રીલંકાની શરૂઆત નબળી રહી હતી અને ઓપનર નિશાન મધુષ્કા માત્ર ૬ રન બનાવી મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિમાં પસિન્દુ સોરિયાબંદારા નંબર-૩ પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ ભારતીય સ્પિનર માનવ સુતારના પહેલા જ બોલ પર તે થાપ ખાઈ ગયો અને ખાતું ખોલાવ્યા વિના ‘ગોલ્ડન ડક’ (પ્રથમ બોલે શૂન્ય રન) પર આઉટ થઈ ગયો હતો.
કોલંબોમાં જન્મેલા પસિન્દુ સોરિયાબંદારાનો સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ રેકોર્ડ રહ્યો છે, જ્યાં તેણે ૧૪ સદીઓ ફટકારીને રાષ્ટ્રીય ટીમમાં દાવેદારી નોંધાવી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે જ તેને ટીમમાં સિલેક્ટ કરાયો હતો. જોકે, અણધારી રીતે મળેલા આ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂને તે યાદગાર બનાવી શક્યો નહીં. હવે દિનેશ ચંદીમલ બીજી ટેસ્ટ સુધીમાં ફિટ ન થાય તો તેને પોતાની ક્ષમતા સાબિત કરવાની વધુ એક તક મળી શકે છે.
