ગુજરાતમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના શિક્ષકો હવે આરપારના મૂડમાં છે. તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. આ સિવાય શિક્ષકોએ ફરજિયાત કરાયેલી TET અને TAT પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે મોરચો માંડ્યો છે.
અમદાવાદમાં શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓના સેંકડો શિક્ષકો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કર્યા હતા. શિક્ષકોએ એક વિશાળ રેલી યોજીને આવેદનપત્ર પણ આપ્યું હતું. ધરણા માટે શિક્ષકોએ બાંધેલો મંડપ પોલીસે વચમાં આવીને ખોલાવી નાખતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગોધરામાં 1000થી વધુ શિક્ષકો રસ્તા પર
પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ શિક્ષકોનો ભવ્ય મોરચો જોવા મળ્યો હતો. જિલ્લા સેવાસદનની બહાર TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે અંદાજે 1000થી વધુ શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. શિક્ષકોના હાથમાં સરકાર વિરોધી પ્લે-કાર્ડ્સ અને બેનરો હતા. જિલ્લા શિક્ષક સંઘે તંત્રને ચીમકી આપી છે કે જો માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
છોટાઉદેપુરમાં જૂના શિક્ષકોના હકો માટે લડત
બીજી તરફ આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અહીં મુખ્ય લડત TET-1 પાસ જૂના શિક્ષકોના આર્થિક હકો માટેની છે. વર્ષ 2009માં વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકોને ઉચ્ચતર પગારધોરણ અને બઢતીના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
શિક્ષકોની મુખ્ય માંગણીઓ પર એક નજર:
-
વર્ષ 2005 પછી ભરતી થયેલા તમામ શિક્ષકો માટે ‘જૂની પેન્શન યોજના’ (OPS) ફરી શરૂ કરવામાં આવે.
-
વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકો માટે સરકારે ફરજિયાત કરેલી TET પરીક્ષાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવે.
-
વર્ષ 2009ના વિદ્યાસહાયકોને ઉચ્ચતર પગારધોરણ, બઢતી અને સેવા સબંધી અન્ય લાભો તાત્કાલિક આપવામાં આવે.
જો રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે આ બાબતે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી શૈક્ષણિક કાર્યબહિષ્કાર થવાની પૂરેપૂરી સંભાવના છે.
રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન અને TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે રેલી અને ધરણા
< /p>
