પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના અલીપુર વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એક સરકારી ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના ઘટી છે. આ અકસ્માતમાં અંદાજે ૪,૦૦૦ જેટલા EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) બળીને ખાક થઈ ગયા છે.
આ ઘટના બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષી દલોએ આ ઘટના પાછળ કોઈ ‘મોટા કાવતરા’ની આશંકા વ્યક્ત કરી છે.
બીજા માળે લાગેલી આગ સીધી નવમા-દસમા માળે કેવી રીતે પહોંચી?
આ ભીષણ આગ દક્ષિણ કોલકાતાના અલીપુરમાં આવેલી સરકારી ઇમારતમાં લાગી હતી. આ બિલ્ડિંગમાં દક્ષિણ ૨૪ પરગના જિલ્લા પરિષદની ઓફિસ સહિત અન્ય મહત્વના સરકારી વિભાગો આવેલા છે.
બંગાળના મંત્રી કૌશિક ચૌધરીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આગ સૌથી પહેલા બીજા અને ત્રીજા માળે લાગી હતી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, વચ્ચેના ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ સુરક્ષિત રહ્યા અને આગ સીધી સાતમા, આઠમા, નવમા અને દસમા માળ સુધી પહોંચી ગઈ!
મંત્રીએ જ ઉઠાવ્યા ગંભીર સવાલો
સરકારના મંત્રી કૌશિક ચૌધરીએ આ આગની પેટર્ન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ આગ સામાન્ય લાગતી નથી. વચ્ચેના માળને નુકસાન પહોંચાડ્યા વિના આગ સીધી ઉપરના માળ સુધી કેવી રીતે પહોંચી, તેની તપાસ કરવામાં આવી રહી છે. આમાં કોઈ કાવતરું સામેલ છે કે નહીં તેની પૂરી તપાસ થશે.
આ વર્ષની ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM નાશ પામ્યા
આ આગ અકસ્માતમાં સૌથી મોટું નુકસાન ચૂંટણી મશીનોને થયું છે. મંત્રીના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં રાખવામાં આવેલા આશરે ૪,૦૦૦ EVM સંપૂર્ણપણે બળી ગયા છે.
આ એ જ વોટિંગ મશીનો હતા, જેનો ઉપયોગ આ વર્ષે જ રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ૧૦ અલગ-અલગ મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. લોકશાહીના આ મહત્વના દસ્તાવેજો સમાન મશીનો નાશ પામતા હલચલ મચી ગઈ છે.
ભાજપ અને કોંગ્રેસે વ્યક્ત કરી કાવતરાની આશંકા
કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આમાં કોઈ મોટા કાવતરાની શક્યતાને નકારી શકાય નહીં. બીજી તરફ, ભાજપના નેતા રાકેશ સિંહે પણ સીધો આરોપ લગાવ્યો છે કે આ આગ એક પૂર્વાયોજિત કાવતરું હતું. કોંગ્રેસે પણ આ ઘટનાના ટાઈમિંગ પર સવાલો ઉઠાવ્યા છે.
હાલમાં પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષાના ભાગરૂપે આખી બિલ્ડિંગને સીલ કરીને ત્યાં લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે ફોરેન્સિક લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આગ લાગવાનું અસલી કારણ સ્પષ્ટ થઈ શકશે.
<
