ભારતીય ટીમને પોતાની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2026 ની ટ્રોફી જીતાડનાર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે. આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન તરીકે હવે શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ સૂર્યા એક એવા ખાસ લિસ્ટનો હિસ્સો બની ગયો છે, જેમાં અગાઉ માત્ર 3 જ ખેલાડીઓ સામેલ હતા.
ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી પત્તું કટાઇ ગયું
BCCI એ 6 જૂનના રોજ UK ટૂર અને એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી. આ સાથે જ કેપ્ટન્સી અંગે ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો. સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સૂર્યાના બહાર થવા પાછળનું મોટું કારણ તેનું ખરાબ ફોર્મ છે. બેટિંગમાં તે સતત ફ્લોપ રહ્યો છે અને IPL 2026 માં પણ સારો દેખાવ કરી શક્યો ન હતો. જોકે, કેપ્ટન તરીકે સૂર્યાનો રેકોર્ડ શાનદાર છે. તેની કેપ્ટન્સીમાં ભારતે તમામ દ્વિપક્ષીય સિરીઝ જીતવા ઉપરાંત એશિયા કપ અને વર્લ્ડ કપ પણ પોતાના નામે કર્યો છે.
વર્લ્ડ કપ ફાઇનલ બની કેપ્ટન તરીકે અંતિમ મેચ
વર્લ્ડ ક્રિકેટમાં સામાન્ય રીતે હાર બાદ કોઈ ખેલાડી કેપ્ટન્સી છોડતો હોય છે. પરંતુ કોઈ મોટી ટૂર્નામેન્ટ જીત્યા બાદ કેપ્ટન્સી છોડવી કે છીનવાઈ જવી તેવું ભાગ્યે જ બને છે. સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલમાં એવા ચોથા કેપ્ટન બની ગયા છે, જેમની કેપ્ટન તરીકેની અંતિમ મેચ T20 વર્લ્ડ કપ ફાઇનલ બની ગઈ હોય.
-
પ્રથમ નામ: પાકિસ્તાનના યુનિસ ખાન. 2009 માં વર્લ્ડ કપ જીત્યા બાદ તરત જ નિવૃત્તિ લીધી હતી.
-
બીજું નામ: વેસ્ટ ઈન્ડિઝના ડેરેન સેમી. 2016 માં વર્લ્ડ કપ જીતીને નિવૃત્તિ જાહેર કરી હતી.
-
ત્રીજું નામ: ભારતના રોહિત શર્મા. 2024 માં વર્લ્ડ કપ જીત્યા બાદ નિવૃત્તિ લીધી હતી.
આ લિસ્ટમાં હવે ચોથું નામ સૂર્યકુમાર યાદવનું છે. તેણે નિવૃત્તિ લીધી નથી, પરંતુ કેપ્ટન તરીકે તેની અંતિમ મેચ વર્લ્ડ કપ ફાઇનલ જ બની ગઈ છે.
ટીમ ઇન્ડિયામાં વાપસીનો રસ્તો મુશ્કેલ
સૂર્યકુમાર યાદવે માત્ર કેપ્ટન્સી જ નથી ગુમાવી, પરંતુ તેને 15 સભ્યોની ટીમમાંથી પણ ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. આવા સંજોગોમાં ટીમ ઇન્ડિયામાં પાછા ફરવું તેના માટે ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
હાલમાં સૂર્યાની ઉંમર 35 વર્ષ છે. બીજી તરફ ઘણા યુવા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં પોતાનો દાવો મજબૂત કરી રહ્યા છે. હવે સૂર્યકુમાર યાદવે વાપસી કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં અત્યંત ધમાકેદાર પ્રદર્શન કરવું પડશે.
