કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુજરાતના લોકો વિશે કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ મામલે માફી માંગી છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને તેઓ ગુજરાતના લોકોનું હંમેશા સન્માન કરે છે.
મલ્લિકાર્જુન ખરગે ; શું હતો સમગ્ર વિવાદ?
કેરળના ઈડુક્કીમાં એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખરગે એ કહ્યું હતું કે, “કેરળના લોકો ભણેલા-ગણેલા અને સમજદાર છે, તેમને ગેરમાર્ગે દોરી શકાય નહીં. મોદીજી અને પિનરાઈ વિજયન ગુજરાત કે અન્ય જગ્યાના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પણ કેરળના લોકોને નહીં.”
આ નિવેદન બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું અને તેને સમગ્ર ગુજરાત અને ગુજરાતની જનતાનું અપમાન ગણાવ્યું હતું.
ખરગેએ સોશિયલ મીડિયા પર આપી સ્પષ્ટતા
વિવાદ વકરતા ખરગેએ એક્સ (Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે:
-
કેરળના ભાષણની ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.
-
તેમ છતાં, તેઓ જવાબદારીપૂર્વક આ બાબતે ખેદ વ્યક્ત કરે છે.
-
ગુજરાતના લોકો પ્રત્યે તેમના મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને રહેશે.
-
લોકોની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઉદ્દેશ્ય નહોતો.
ભાજપનો વળતો પ્રહાર
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસે વારંવાર ગુજરાતને નિશાન બનાવવાની આદત પડી ગઈ છે. આ નિવેદનથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિના લાખો લોકોનું અપમાન થયું છે. તેમણે ચેતવણી આપી કે ગુજરાતના મતદારો આ અપમાનને ક્યારેય ભૂલશે નહીં.
