ગાંધીનગરના મગોડી લાટ વિસ્તારમાં આજે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામના લોકો જે ટાંકીમાંથી પીવાનું પાણી મેળવે છે, તે ટાંકી સરીસૃપોનું ઘર બની ગઈ હતી. ટાંકીમાંથી મૃત અને જીવતા સાપ મળતા આખા પંથકમાં એરેરાટી ફેલાઈ ગઈ છે.
પાણીમાં આવતી હતી વિચિત્ર દુર્ગંધ
મગોડી ગામના અંદાજે 900 લોકો આ ઓવરહેડ ટાંકી પર નિર્ભર છે. છેલ્લા કેટલાક સમયથી નળના પાણીમાં અચાનક દુર્ગંધ આવવા લાગી હતી. આથી ગ્રામજનોએ એકઠા થઈને ટાંકીની તપાસ કરવાનું નક્કી કર્યું. જ્યારે ટાંકીનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે દ્રશ્યો જોઈને સૌના હોશ ઉડી ગયા હતા.
રેસ્ક્યૂ ઓપરેશનમાં શું શું નીકળ્યું?
સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગ અને સદ્ભાવના ફાઉન્ડેશનને જાણ કરી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા નીચે મુજબના જીવો મળી આવ્યા:
-
1 મૃત સાપ: અંદર એક ‘ધામણ’ જાતિનો સાપ મૃત હાલતમાં મળ્યો, જે કોહવાઈ ગયો હતો.
-
5 જીવતા સાપ: ટાંકીના અલગ-અલગ ભાગોમાં 5 જીવતા સાપ છુપાયેલા હતા.
-
3 પાટલા ઘો: ટાંકીની અંદરથી 3 મોટી ઘો પણ મળી આવી હતી.
ટીમે કુલ 8 જીવતા જીવોનું સુરક્ષિત રેસ્ક્યૂ કર્યું હતું. સાપ બિનઝેરી હોવાથી લોકોએ થોડો હાશકારો અનુભવ્યો હતો, પરંતુ પાણીના પ્રદૂષણને લઈને ચિંતા વધી ગઈ હતી.
તંત્ર સામે ગ્રામજનોનો રોષ
આ ઘટના બાદ આરોગ્ય વિભાગની ટીમે દોડી આવી પાણીના નમૂના લીધા છે. ટાંકીના શુદ્ધિકરણની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. જોકે, ગ્રામજનોમાં પંચાયત અને જવાબદાર તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
-
ટાંકીની જાળવણીમાં આટલી મોટી બેદરકારી કેમ રાખવામાં આવી?
-
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર જવાબદારો સામે એક્શન લેવાશે?
-
ગામની પાઈપ લાઈન રિપેરિંગની માંગણી લાંબા સમયથી કેમ સંતોષાઈ નથી?
