બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના મુંબઈના બાંદ્રા વેસ્ટ સ્થિત આઇકોનિક બંગલા ‘મન્નત’માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બંગલાના પરિસરમાં અચાનક બે મોટા સાપ દેખાતાં ત્યાં હાજર સ્ટાફ અને સુરક્ષાકર્મીઓમાં ભારે નાસભાગ અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. સ્ટાફ દ્વારા તાત્કાલિક વન વિભાગ અને સ્નેક રેસ્ક્યૂઅરને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી એક સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો, જ્યારે બીજો સાપ સરકી જવામાં સફળ રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ‘મન્નત’માં હાલ મોટા પાયે સમારકામ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે બાંદ્રાના અન્ય એક ફ્લેટમાં કામચલાઉ ધોરણે શિફ્ટ થયા છે. આ દરમિયાન રાત્રિના સમયે બંગલાના બગીચામાં શેડ નીચે બે સાપ જોવા મળ્યા હતા. સ્નેક કેચર ઝુબેર શાહ અને વન વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ લગભગ ૮ ફૂટ લાંબા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધો હતો. આ સાપને બાદમાં વન વિભાગના નિયમો અનુસાર કુદરતી આવાસ (જંગલ) માં મુક્ત કરવામાં આવ્યો હતો.
જોકે, બંગલા પરિસરમાં લોકોની ભારે અવરજવરના કારણે બીજો સાપ ભાગી છૂટ્યો હતો. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચલાવવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. વન વિભાગનું માનવું છે કે બીજો સાપ કદાચ બંગલાની સીમા પાર કરીને બહાર નીકળી ગયો હોઈ શકે છે. તેમ છતાં, બીજો સાપ હજુ સુધી ન પકડાતાં બંગલામાં કામ કરતા સ્ટાફ અને મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ‘મન્નત’માં બે વધારાના માળ ઉમેરવા માટે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી સામે સ્થાનિક રહીશ દ્વારા કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે યોગ્ય આધારના અભાવે તે અરજી ફગાવી દઈ રિનોવેશનનો માર્ગ મોકળો કર્યો હતો. હાલ આ ઘટના બાદ બંગલા પરિસરમાં સફાઈ અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.
