ઉત્તર પ્રદેશના સહારનપુરમાં આયોજિત જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ (‘દિશા’)ની સમીક્ષા બેઠકમાં એક સ્થાનિક નાળાના અધૂરા નિર્માણ કાર્ય અને પ્રશ્નો પૂછવાના સમયને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો. આ બેઠકની અધ્યક્ષતા કરી રહેલા કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ અને સમાજવાદી પાર્ટી (સપા)ના સહારનપુર દેહાત બેઠકના ધારાસભ્ય આશુ મલિક વચ્ચે અધિકારીઓની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બેઠકમાં સપાના કૈરાના સાંસદ ઇકરા હસન સહિત વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
બેઠક દરમિયાન સપા ધારાસભ્ય આશુ મલિકે પોતાના વિસ્તારમાં નાળાના નિર્માણમાં થઈ રહેલા વિલંબ અને ફંડની અછત અંગે વહીવટી તંત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે અધિકારીઓને ઘેરતા આક્રોશપૂર્વક કહ્યું કે, “અમે અહીં જનતાના પ્રશ્નો ઉઠાવવા આવ્યા છીએ, કોઈ ચા-ભજીયાં ખાવા નથી આવ્યા. અધિકારીઓએ સાચો અને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.” તેમણે ૮૦ ટકા સવાલો જનહિતના હોવાનું જણાવી લેખિત જવાબની માગણી કરી હતી.
SP or congress ki ye fight kha tak jayegi?
DHCA meeting me pakora ko lekar SP MLA or Imran Masood ke bich jordar bhas ho gayi. pic.twitter.com/1UUddSqbMH
— Gaurav (@k_gauravs) August 19, 2026
આ દરમિયાન બેઠકની અધ્યક્ષતા સંભાળી રહેલા સાંસદ ઇમરાન મસૂદે તેમને અટકાવીને નિયમ મુજબ બોલવા અને ચેરની મંજૂરી લેવા જણાવ્યું હતું. મસૂદે વળતો પ્રહાર કરતાં કહ્યું કે અન્ય સભ્યોને પણ બોલવાની તક મળવી જોઈએ અને નિયમબદ્ધ રીતે જ કામગીરી આગળ વધશે. આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે લાંબો સમય તીખી તૂતૂ-મેંમેં થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આશરે ચારથી પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ બંને નેતાઓએ વિવાદને સામાન્ય ગણાવ્યો હતો. આશુ મલિકે સ્પષ્ટતા કરી કે સદનમાં લોકહિતના પ્રશ્નો પર આવી ચર્ચાઓ થતી રહે છે અને તેનો ગઠબંધન સાથે કોઈ સંબંધ નથી. બીજી તરફ, ઇમરાન મસૂદે પણ જણાવ્યું કે બેઠકમાં દરેક પ્રતિનિધિને બોલવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને કોઈ વ્યક્તિગત ઝઘડો થયો નથી. આ ઘટના વચ્ચે તાજેતરમાં ‘વંદે માતરમ’ ગીત અંગે પોતાના ધાર્મિક વિશ્વાસને ટાંકીને આપેલા નિવેદનને કારણે પણ ઇમરાન મસૂદ ચર્ચામાં રહ્યા છે.
