આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ખાંડના ભાવોમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં છેલ્લા એક જ મહિનામાં ખાંડના ભાવ આશરે ૧૦ ટકા અને જૂન મહિનાથી અત્યાર સુધીમાં લગભગ ૩૦ ટકા સુધી વધી ગયા છે. મુંબઈના જથ્થાબંધ બજારમાં ખાંડનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹૩,૮૦૦ થી વધીને ₹૫,૦૦૦ થી ₹૫,૦૯૦ સુધી પહોંચી ગયો છે. સામાન્ય રીતે ઓગસ્ટથી જાન્યુઆરી દરમિયાન મીઠાઈ, પીણાં અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોમાં ખાંડનો વપરાશ મોટા પાયે વધતો હોવાથી બજારમાં કૃત્રિમ અછત અને સંગ્રહખોરી રોકવા કેન્દ્ર સરકાર સક્રિય બની છે.
ભાવવધારા પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાંડ મિલો માટે કડક આદેશ જારી કર્યો છે. નવા નિયમ મુજબ, મિલો દ્વારા ડીલરો, એજન્ટો કે જથ્થાબંધ ખરીદદારોને વેચાયેલી ખાંડ ૭ દિવસથી વધુ સમય માટે મિલના પરિસરમાં સંગ્રહિત કરી શકાશે નહીં. ભૌતિક ચકાસણી દરમિયાન એવું સામે આવ્યું હતું કે મોટા ખરીદદારો ખાંડ ખરીદી લીધા પછી પણ મિલોના ગોદામોમાં માલ રોકી રાખતા હતા. આ વ્યવસ્થા ૩૦ નવેમ્બર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને નિયમભંગ કરનાર મિલો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વૈશ્વિક સ્તરે પણ કાચી ખાંડના ભાવ પ્રતિ પાઉન્ડ ૧૬.૬ સેન્ટ સાથે એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે, જ્યારે સફેદ ખાંડના ભાવ ૧૫ મહિનાના ઉચ્ચતમ સ્તરે છે. બ્રાઝિલ, થાઇલેન્ડ અને યુરોપિયન યુનિયનમાં ઉત્પાદન ઘટવાની સંભાવના અને ૨૦૨૬-૨૭ ની સીઝનમાં વૈશ્વિક અછતના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજીનો માહોલ છે.
સ્થાનિક બજારમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર હાલમાં ખાંડ પર લાગતી ૧૦૦ ટકા આયાત ડ્યુટી ઘટાડવા અથવા તેને સંપૂર્ણપણે હટાવવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ પગલાંથી સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધશે અને સામાન્ય ગ્રાહકોને તહેવારો દરમિયાન વાજબી ભાવે ખાંડ મળી રહેશે.
