ભારતીય ક્રિકેટ ટીમના લગભગ 11 મુખ્ય ખેલાડીઓ હાલ ફિટનેસની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, જેની અસર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર પણ જોવા મળી રહી છે. શ્રીલંકા પ્રવાસ માટે જાહેર કરાયેલી ટેસ્ટ ટીમમાં શરૂઆતમાં જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનના નામ સામેલ હતા, પરંતુ સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે તેઓ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે.
ઈજાગ્રસ્ત ખેલાડીઓની વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે, બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણે ખેલાડીઓનો બચાવ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખેલાડીઓ કોઈ મશીન નથી કે દર વખતે નક્કી સમયમર્યાદામાં જ સાજા થઈ જાય.
ક્રિકેટર કોઈ ‘મશીન’ નથી: વીવીએસ લક્ષ્મણ
BCCI સચિવ દેવજીત સૈકિયા સાથે મુલાકાત કર્યા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, વીવીએસ લક્ષ્મણે ખેલાડીઓની રીકવરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું:
“ક્રિકેટર કોઈ ‘મશીન’ નથી, જેમના શરીરની ફિટનેસ દર વખતે નક્કી સમયમર્યાદામાં જ પરત આવી જાય. COE માત્ર ઈજામાંથી ઉભરવા કે ફિટનેસ મેળવવાનું કેન્દ્ર નથી, પરંતુ ખેલાડીઓને તેમની રમતમાં સુધારો કરવામાં મદદ કરવાની તેની ભૂમિકા આનાથી પણ મોટી છે. અમે ઈજાના કિસ્સામાં ‘દોષ’ શબ્દનો ઉપયોગ કરવાનો પસંદ નથી કરતા. પુરુષ અને મહિલા બંને ટીમોના COE, ટીમ મેનેજમેન્ટ અને SSM સ્ટાફ વચ્ચે શાનદાર તાલમેલ છે, પરંતુ આ માનવ શરીર છે, કોઈ મશીન નથી.”
બુમરાહ અને સુદર્શનની પસંદગી ફિટનેસ પર નિર્ભર હતી
વીવીએસ લક્ષ્મણે પોતાના નિવેદનમાં જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાં બંનેની પસંદગી ફિટનેસ ક્લિયરન્સ મળવાની શરત પર જ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું કે પસંદગીકારો COE પાસેથી ખેલાડીઓની ફિટનેસ સ્થિતિનો રિપોર્ટ માંગે છે. ત્યારબાદ આ રિપોર્ટ સિલેક્શન કમિટીના ચેરમેન, બંને ટીમોના હેડ કોચ અને BCCIને મોકલવામાં આવે છે.
ખેલાડીઓનું ઈજાગ્રસ્ત થવું એ ચિંતાનો વિષય નથી
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઈજાઓ પર લક્ષ્મણે કહ્યું કે, “મને નથી લાગતું કે આ ચિંતાનું કારણ છે. જ્યારે કોઈ ખેલાડી ટોપ લેવલ પર રમે છે ત્યારે તેની પાસે શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે. ઈજા એ કોઈપણ ખેલાડીની કરિયરનો એક સહજ ભાગ છે. જો તમે માત્ર ઈજાથી બચવા વિશે જ વિચારતા રહેશો તો પોતાની પૂરી ક્ષમતા સાથે રમી શકશો નહીં. ઈજાને હંમેશા નકારાત્મક રીતે ન જોવી જોઈએ.”
