ભારતીય ક્રિકેટ ટીમના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પોતાના બિંદાસ અને રમૂજી અંદાજ માટે જાણીતા છે. પોતાના ચુલબુલા સ્વભાવથી સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહેતા અર્શદીપ સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે ભારતના મહાન સ્પિનર રવિચંદ્રન અશ્વિનની માફી માગી છે. પરંતુ એવું તો શું બન્યું કે અર્શદીપે અશ્વિન પાસે માફી માગવી પડી?
અર્શદીપ સિંહની ટોપ-૫ ભારતીય બોલરોની યાદી
કૃષ્ણંક આત્રેયના યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતી વખતે અર્શદીપ સિંહને પોતાની પસંદગીના આધારે ભારતના ટોપ-૫ બોલરો પસંદ કરવા અને તેમને રેન્કિંગ આપવા માટે કહેવામાં આવ્યું હતું. અર્શદીપે આ યાદીમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપ્યું.
અશ્વિનને છેલ્લું સ્થાન આપતાં જ ભૂલનો અહેસાસ થયો
જેવા અર્શદીપે અશ્વિનને ૫મા નંબરે રાખ્યા, તેમને તરત જ અહેસાસ થયો કે ભારતના આટલા મોટા મેચ-વિનર ખેલાડીને સૌથી નીચે રાખવું યોગ્ય લાગતું નથી.
પોતાની વાત સંભાળતા અને હસતા હસતા અર્શદીપે કહ્યું:
“હું અશ્વિન ભાઈને સૌથી નીચે રેટ કરવા નહોતો માગતો, પરંતુ ઉપર કોઈ જગ્યા બાકી રહી નહોતી. અશ્વિન ભાઈ અદ્ભુત ખેલાડી છે અને આઈપીએલ દરમિયાન પંજાબ ટીમમાં મારા પ્રથમ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. સોરી અશ્વિન ભાઈ, હું તમને પર્સનલી મેસેજ કરીને માફી માગી લઈશ.”
