હરિયાણાના પાનીપતમાંથી સારવારમાં ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પગ નું ફેક્ચર (હડ્ડી) સરખું કરાવવા આવેલી મહિલાનું પરિજનોની મંજૂરી વગર જ દિલનું ઓપરેશન કરી દેવાયું હતું. સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજતાં પરિજનોએ હોસ્પિટલ સામે મોર્ચો માંડ્યો છે.
રસ્તા અકસ્માતમાં તૂટ્યો હતો પગ
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતના નિવાસી કુલદીપ અહમદ હાલ પાનીપતમાં રહે છે. તેમની માતા ગુડ્ડી દેવી 24 જુલાઈએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માતમાં તેમના પગનું હાડકું તૂટી ગયું હતું.
ત્યારબાદ તેમને પાનીપતના જીટી રોડ પર આવેલી પાર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ બાંહેધરી આપી હતી કે પગની સારવાર બાદ મહિલા ઝડપથી સ્વસ્થ થઈ જશે.
મંજૂરી વગર દિલમાં સ્ટેન્ટ મૂકી દીધું
પરિજનોનો ગંભીર આરોપ છે કે 25 જુલાઈએ તબીબોએ પરિવારને જણાવ્યા વગર જ મહિલાની એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું હતું.
જ્યારે પરિજનોએ આ અંગે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે સંમતિ પત્ર (Consent Form) પર તેમની બોગસ સહી કરવામાં આવી હતી. આ બિનજરૂરી સર્જરી બાદ મહિલાની તબિયત વણસી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
હોસ્પિટલ પ્રશાસન પર ધમકી આપવાનો આરોપ
મહિલાના પુત્ર કુલદીપે જણાવ્યું કે સારવાર અંગે સવાલ ઉઠાવવા પર હોસ્પિટલ પ્રશાસને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે તેમને ધમકાવ્યા હતા. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે “તમારે જે કરવું હોય તે કરી લો, અમને કોઈ ફરક નથી પડતો.”
તબીબો સામે એફઆઈઆર દાખલ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-29 પોલીસ સ્ટેશને હોસ્પિટલના તબીબો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106, 318(4) અને 351(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તબીબી દસ્તાવેજોની તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
