કેન્દ્રની મોદી સરકાર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના સન્માન માટે મોટો કાયદો લાવવા જઈ રહી છે. સંસદના આગામી ચોમાસુ સત્રમાં એક નવું સુધારા બિલ રજૂ કરવામાં આવશે. આ બિલ મુજબ, રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવનાર અથવા તેનું અપમાન કરનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદામાં સુધારો
કેન્દ્રીય કેબિનેટ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકાર હવે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’ (Prevention of Insults to National Honour Act) માં મોટો સુધારો કરશે.
અત્યાર સુધી આ કાયદા હેઠળ માત્ર રાષ્ટ્રગાન ‘જન-ગણ-મન’, રાષ્ટ્રધ્વજ અને બંધારણના અપમાન સામે જ કડક સજાની જોગવાઈ હતી. હવે આ યાદીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને પણ સમાન દરજ્જો આપવામાં આવશે.
બિલમાં કઈ જોગવાઈઓ હશે?
જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રાષ્ટ્રીય ગીત ગવાતું અટકાવશે તો તેની સામે ફોજદારી ગુનો બનશે. ગીત દરમિયાન અડચણ ઊભી કરનાર કે સભામાં હંગામો કરનારને નીચે મુજબની સજા થઈ શકે છે:
-
3 વર્ષ સુધીની કડક જેલની સજા.
-
આર્થિક દંડ અથવા જેલ અને દંડ બંને.
સરકારે તાજેતરમાં જ તમામ સત્તાવાર સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રગાન પહેલાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવવાની માર્ગદર્શિકા પણ જાહેર કરી હતી.
આ સત્રમાં અન્ય મહત્વના બિલ પણ આવશે
૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં સરકાર અન્ય કેટલાક મહત્વના બિલ પણ રજૂ કરવાની છે:
-
જન્મ-મરણ નોંધણીમાં કડકાઈ: જન્મ અથવા મૃત્યુની નોંધણીમાં મોડું કરનારાઓ સામે કડક કાનૂની જોગવાઈઓ વાળું બિલ લાવવામાં આવશે.
-
વિદેશી ફંડિંગ પર નિયંત્રણ: એનજીઓ (NGO) ને મળતા વિદેશી ફંડિંગ પર નજર રાખવા માટે એફસીઆરએ (FCRA) સુધારા બિલ પણ ચર્ચા માટે લિસ્ટ થયું છે.
-
સોવરિન ડેટ માર્કેટ: ભારતના ડેટ માર્કેટને મજબૂત કરવા અને ગ્લોબલ ફંડ આકર્ષવા માટે પણ નવો ખરડો લાવવામાં આવશે.
