વિકાસ અને સમૃદ્ધિના દાવાઓ વચ્ચે ગુજરાતમાં સરકારી યોજનાઓમાં ચાલતી મોટી લાલિયાવાડી અને કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદો માટે અનામત રખાયેલા મફત અનાજ પર રાજ્યના સુખી-સંપન્ન તવંગરોએ ડાકા નાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં 55.09 લાખ શંકાસ્પદ રેશનિંગ કાર્ડ મળી આવ્યા છે, જેમાંથી 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે.
કાર, બંગલા અને જમીનના માલિકો પણ ‘ગરીબ’ બન્યા!
જેમની પાસે આલીશાન બંગલા, વૈભવી કાર, એકરો ખેતીલાયક જમીન છે, જેઓ નિયમિત ઇનકમ ટેક્સ ભરે છે અને કંપનીઓમાં ડાયરેક્ટર છે, તેવા લોકો પણ ગરીબ બનીને ગરીબોના હકનું મફત અનાજ ઓહિયાં કરી રહ્યા હતા.
કેવી રીતે પકડાઈ આ પોલ?
કેન્દ્રીય એજન્સીઓએ નીચે મુજબના વિભાગો પાસેથી લિંક થયેલા ડેટા મેળવીને ક્રોસ-વેરિફિકેશન કર્યું હતું, જેમાં ધનિકોની પોલ છતી થઈ હતી:
-
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax)
-
કૃષિ મંત્રાલય (Agriculture Ministry)
-
ગૃહ મંત્રાલય અને પોર્ટલ ડેટા (Ministry of Home Affairs)
-
પોસ્ટ વિભાગ અને RTO ડેટા (Vehicle & Address verification)
કૌભાંડ પર ઊભા થતા ગંભીર સવાલો
ગુજરાતમાં 15 લાખથી વધુ બોગસ રેશનકાર્ડ રદ કરાયા બાદ હવે જનતા અને વિપક્ષ દ્વારા તંત્ર સામે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે:
-
હજારો ટન અનાજ કોણ ઓહિયાં કરી ગયું? અત્યાર સુધી આ બોગસ રેશનકાર્ડના નામે વહેંચાયેલું અનાજ ખરેખર કોના ઘરે પહોંચ્યું?
-
કોના આશીર્વાદ હતા? સ્થાનિક લેવલે સરકારી બાબુઓ અને રેશનિંગ દુકાનદારોની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ વર્ષો સુધી ચાલવું અશક્ય છે.
-
ચકાસણી વગર વાહવાહ: સરકારે યોગ્ય વેરિફિકેશન કર્યા વિના જ અનાજ વહેંચીને વાહવાહી મેળવી લીધી, પરંતુ હવે જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે પુરવઠા વિભાગ મૌન છે.
જનતાની માંગ: માત્ર કાર્ડ રદ નહીં, ફોજદારી કાર્યવાહી કરો
ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આવા સંપન્ન ‘નકલી ગરીબો’ સામે માત્ર રેશનકાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી પૂરતી નથી. નાગરિકો માંગ કરી રહ્યા છે કે:
-
બજાર કિંમતે વસૂલાત: સરકારી સંસાધનોની લૂંટ કરનારા ધનિકો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવામાં આવે.
-
કાયદાકીય કાર્યવાહી: ગરીબોનો હક છીનવનારા બોગસ લાભાર્થીઓ અને તેમની સાથે મિલીભગત ધરાવતા સરકારી અધિકારીઓ પર ફોજદારી ગુનો દાખલ કરી કડક સજા કરવામાં આવે.
મુખ્ય તારણ: સરકારી યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે સિસ્ટમમાં રહેલા ભ્રષ્ટ બાબુઓ અને ધનિક કૌભાંડીઓ સામે દાખલારૂપ પગલાં ભરવા અત્યંત જરૂરી છે.
