સુપ્રીમ કોર્ટે CBSEમાં ત્રીજી ભાષા ફરજિયાત કરવાના મામલે કેન્દ્ર સરકાર અને સીબીએસઈ (CBSE) ની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધોરણ-9માં નવી ભાષા દાખલ કરવાથી વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ વધશે. જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે આ થ્રી લેંગ્વેજ પોલિસી અંગે કેન્દ્રને ફરી વિચાર કરવા સલાહ આપી છે.
ધોરણ-9માં નવી ભાષા કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ
મામલાની સુનાવણી દરમિયાન જજ નાગરત્નાએ સીબીએસઈના પરિપત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ધોરણ-10ની બોર્ડ પરીક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ ધોરણ-8થી જ ભારે દબાણનો સામનો કરતા હોય છે. આવા સમયે ધોરણ-9માં નવી ભાષા શરૂ કરવી યોગ્ય નથી. જો ત્રીજી ભાષા શીખવવી જ હોય, તો તેની શરૂઆત ધોરણ-6થી જ કરી દેવી જોઈએ. જેથી સેકન્ડરી સ્કૂલમાં પહોંચતા સુધીમાં વિદ્યાર્થીઓ માટે ફેરફાર સરળ બની રહે.
તમિલનાડુ સરકારને પણ કોર્ટની ફટકાર
બીજી તરફ, તમિલનાડુમાં જવાહર નવોદય વિદ્યાલય (JNVs) સ્થાપવાના મુદ્દે પણ સુનાવણી થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટે રાજ્યના દરેક જિલ્લામાં JNV સ્થાપવા માટે જમીન અને સહાય આપવા આદેશ કર્યો હતો. તમિલનાડુ સરકારે આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને ટકોર કરી છે કે માત્ર કેન્દ્ર સરકાર આ નીતિ લાવી છે તે વિચારીને તેનો વિરોધ ન કરવો જોઈએ.
હિન્દી ફરજિયાત કરવા અંગે કોર્ટની સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) માં ક્યાંય પણ હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાનો ઉલ્લેખ નથી. વિદ્યાર્થીઓને તેમની રાજ્યની ભાષા અને અંગ્રેજી ઉપરાંત કોઈપણ ત્રીજી ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ. કોઈપણ રાજ્ય પર કોઈ ભાષા થોપી શકાય નહીં. આ મામલે હવે આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
