વિશ્વઉમિયાધામમાં ગૃહમંત્રી શાહની ઉપસ્થિતિમાં 20,000 પાટીદાર યુવાનોએ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પ લીધા
વિશ્વઉમિયાધામના નિર્માણ માટે 70 મિનિટમાં 70 કરોડના દાનની જાહેરાત
ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણમાં ઈંટદાન કર્યું
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના સંકલ્પ પર કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા રવિવારે સમસ્ત પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતભરમાંથી 20 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. વિશ્વઉમિયાધામના યુવા સંગઠન દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનનું ઉદ્ધાટન તેમજ પાટીદાર સમાજના યુવા ઉદ્યોગસાહસિકો માટે બનાવવામાં આવેલી VUF Business Network એપ્લિકેશનનું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરાયું હતું. આ એપ્લિકેશનમાં 1 લાખ યુવા ઉદ્યોગસાહસિકો જોડાશે.
મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિશ્વઉમિયાધામમાં નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિરની ‘શિલા’નું પૂજન કરી સમગ્ર મંદિર નિર્માણ કાર્યનું નિરિક્ષણ કર્યું હતું. યુવા બિઝનેસ મહાસંમેલનમાં અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત 7 દેશમાંથી પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકો પણ પધાર્યા હતા. આ સાથે જ 20 હજાર પાટીદાર યુવા ઉદ્યોગસાહસિકોએ ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો
હું માના મંદિરે જોડાયો નહોતો આર.પી.પટેલે મને જોડ્યોઃ ગૃહમંત્રી અમિત શાહ
વિશ્વઉમિયાધામમાં સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે હું વિશ્વઉમિયાધામ સાથે જોડાયો નહોતો પરંતુ પ્રમુખશ્રી આર.પી.પટેલે મને માના મંદિર સાથે જોડ્યો તેનો મને આનંદ છે. મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી. ભારતને વિશ્વગુરુ બનાવવામાં પાટીદાર સમાજનું ખુબ મોટું યોગદાન છે. વિશ્વઉમિયાધામની બિઝનેસ એપ્લિકેશન આત્મનિર્ભર ભારત અભિયાન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તમામ યુવાનો VUF Business Network એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા ધંધા-રોજને વેગ મળશે. સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું મંદિરમાં સમાજ-શિક્ષણ-અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારનો સમન્વય થયો છે. સર્વે સનાનતીઓએ સાથે મળીને ગગનચુંબી મા ઉમિયાનું મંદિર પૂરુ કરવાનું છે
ગુજરાતના વિવિધ શહેરમાં 100 ઉદ્યોગસાહસિકોની ‘ બેંક ફોર બિઝનેસ’ બનશેઃ આર.પી.પટેલ
આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં સર્વે સનાતનીઓ સહભાગી બને તે અંતર્ગત વિશ્વભરમાં ‘મારી ઈંટ માના મંદિરે’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ મંદિર નિર્માણમાં ઈંટદાન કરી મા ઉમિયાના કૃપાપાત્ર બન્યા છે. યુવા બિઝનેસ મહાસંમેલન અંગે વાત કરતા પ્રમુખશ્રી જણાવે છે કે આગામી દિવસોમાં વિવિધ શહેરોમાં યુવા ઉદ્યોગ સાહસિકો માટે ‘બેંક ફોર બિઝનેસ’ શરુ કરાશે. જેમાં વિશ્વાસથી વ્યવસાય અને વ્યવસાયથી વિકાસના ઉદ્દેશ્ય પર સહકારિતા મોડેલ પર 100 બિઝનેસમેન એક ગૃપમાં એક બીજા સાથે કામ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં દાતાશ્રીઓએ 70 મિનિટમાં 70 કરોડના નવા દાનની જાહેરાત કરી છે. 28 તારીખે કાર્યક્રમ હોય વિશ્વઉમિયાધામ 28 હજાર વૃક્ષારોપણનો સંકલ્પ લે છે.








