Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

Deodar Taluka Panchayat: દિયોદરમાં ચૂંટણી અધિકારી ગાયબ, બીજી વખત ચૂંટણી રદ થતાં ભારે હોબાળો

દિયોદર માં ચૂંટણી અધિકારી ગાયબ, બીજી વખત ચૂંટણી રદ થતાં ભારે હોબાળો

બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલો હાઈવોલ્ટેજ ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આજે 27 મેના રોજ બપોરે 3 વાગ્યે યોજાનારી ચૂંટણી ફરી એકવાર રદ કરવામાં આવી છે.

નવાઈની વાત એ છે કે, ચૂંટણીના સમયે જ ચૂંટણી અધિકારી ગેરહાજર રહ્યા હતા. તેઓ કથિત માંદગીનું બહાનું કાઢીને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હોવાના અહેવાલો છે. અધિકારીની આ ગેરહાજરીને કારણે ચૂંટણી બીજી વાર રદ કરવી પડી છે. હવે આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

વહીવટી તંત્રના ‘નાટક’ સામે ઉઠ્યા સવાલો

અધિકારીની અચાનક નાદુરસ્ત તબિયતને કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે:

  • શું ચૂંટણી અધિકારી ખરેખર બીમાર પડ્યા છે?

  • શું સત્તાધારી પક્ષના ઈશારે આ માત્ર એક વહીવટી નાટક છે?

  • અધિકારીઓની આ ગેરહાજરી પાછળ કયું રાજકીય દબાણ કામ કરી રહ્યું છે?

અગાઉ ગત 25 મેના રોજ ભાજપના બે સભ્યો વચ્ચે આંતરિક માથાકૂટ થઈ હતી. તેના કારણે માત્ર 20 જ મિનિટમાં સભા રદ કરી દેવાઈ હતી.

ગર્ભવતી સભ્ય અસહ્ય પીડા વચ્ચે પણ હાજર રહ્યા

આ આખી ઘટનામાં વહીવટીતંત્રની સંવેદનહીનતા સામે આવી છે. જાડા તાલુકા પંચાયતના સદસ્ય હેતલબેન ઠાકોર ગર્ભવતી છે. તેઓ ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે તેવી સ્થિતિમાં છે.

આમ છતાં, તેઓ અસહ્ય પીડા વેઠીને પણ લોકશાહી બચાવવા સભાખંડમાં હાજર રહ્યા હતા. એક તરફ સભ્યો પોતાની ફરજ માટે કલાકો સુધી ઊભા રહ્યા, તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ મેદાન છોડીને ગાયબ થઈ ગયા.

સાંસદ ગેનીબેન ઠાકોરના કલેક્ટર પર ગંભીર આક્ષેપો

આ સમગ્ર વિવાદ વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તંત્ર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે:

“કલેક્ટર અને પ્રાંત અધિકારી બંને જાણે ભાજપના પટ્ટા પહેરીને ફરી રહ્યા હોય તેવું વર્તન કરી રહ્યા છે. તેઓ લોકતાંત્રિક પ્રક્રિયાને બાજુ પર મૂકીને પોતાની મરજીથી પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરવા માંગે છે.”

પંચાયતમાં પક્ષોનું સંખ્યાબળ:

  • કોંગ્રેસ: 12 સભ્યો

  • ભાજપ: 10 સભ્યો

કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, સત્તાથી દૂર રાખવા માટે સરકારી અધિકારીઓનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

બહુમતી હોવા છતાં સભ્યોને અન્યાય

આજે સવારથી જ કોંગ્રેસના 12 અને ભાજપના 10 મળીને કુલ 22 સભ્યો સભાખંડમાં આવીને બેસી ગયા હતા. ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ જેમના માથે ચૂંટણી કરાવવાની જવાબદારી છે, તે અધિકારી જ ગાયબ થઈ ગયા.

લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્યોના અધિકારોનું આ રીતે થતું ચીરહરણ હવે ચર્ચાનો વિષય બન્યું છે. જનતા હવે પૂછી રહી છે કે દિયોદરમાં જનમતના અધિકારનો સ્વીકાર ક્યારે થશે?

સંબંધિત પોસ્ટ્સ

કચ્છનું ‘હરામી નાળું’: જાણો આ જળ માર્ગનું આવું નામ કેમ પડ્યું?

praxpatel

શું ઈરાન ભારતીય જહાજોને રસ્તો આપશે? વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્થિતિ સ્પષ્ટ કરી

ANIL PATEL

સુજ્ઞાબેન ભટ્ટ સમિતિની ભલામણનો અમલ કર્યો હોત તો સુરત ડૂબ્યું ન હોત! 20 વર્ષથી ધૂળ ખાઈ રહી છે ફાઈલ

praxpatel